કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી સપ્તાહે 12 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દેશભરમાં વિશાળ જનસંપર્ક અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન હેઠળ સરકારના 12 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓની 5 અલગ અલગ બુકલેટ દ્વારા રજૂ કરવામાં આવશે.


બુકલેટમાં મહત્વપૂર્ણ નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવશે

આ બુકલેટોને અલગ-અલગ વિષયોમાં વહેંચવામાં આવી છે જેથી સરકારની મુખ્ય સિદ્ધિઓને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. 'રાષ્ટ્ર પ્રથમ' બુકલેટમાં દેશહિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવશે. 'રાષ્ટ્ર નિર્માણ' બુકલેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વિગત હશે. જ્યારે 'રાષ્ટ્ર સશક્તિકરણ' બુકલેટમાં સૈન્ય શક્તિ, સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે.

વિવિધ જનસંપર્ક કાર્યક્રમો પણ યોજાશે

પાર્ટીએ આ અભિયાનને 'બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના' તરીકે રજૂ કર્યું છે. આ અંતર્ગત 5 જૂનથી 21 જૂન 2026 સુધી વિવિધ જનસંપર્ક, સેવા અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે. 8 થી 12 જૂન દરમિયાન મીડિયા સંવાદ કાર્યક્રમો પણ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પાર્ટી નેતાઓ સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરશે. આ સમયગાળા દરમિયાન 'વિકસિત ભારત સંકલ્પ પરિષદ' અને વિવિધ જનસંપર્ક કાર્યક્રમો પણ યોજાશે. જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારોમાં જઈને નાગરિકો સાથે સીધી વાતચીત કરશે અને વિકાસ યોજનાઓ વિશે માહિતી આપશે. ઉપરાંત, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પ્રગતિ પથ યાત્રાઓ જેવા કાર્યક્રમો પણ યોજાશે.

'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવાશે

12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત, પીએમ સ્વનિધિ અને પીએમ સૂર્ય ઘર જેવી યોજનાઓ માટે પાત્ર નાગરિકોના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 500 મહત્વપૂર્ણ વ્યક્તિઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 5 જૂને 'એક વૃક્ષ મા કે નામ' અભિયાન અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમો પણ યોજાશે. પાર્ટીએ આ સમગ્ર અભિયાન માટે જિલ્લા અને રાજ્ય સ્તરે ખાસ ટીમો રચવાની સૂચના આપી છે અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ અભિયાન સરકારની ઉપલબ્ધિઓને જનજન સુધી પહોંચાડશે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો : E85 પેટ્રોલ આવી રહ્યું છે, રેગ્યુલર ફ્યૂલથી હશે સસ્તું! પેટ્રોલિયમ મંત્રીએ આપી જાણકારી


  • Follow us on: