21 જૂને શાંતિપૂર્ણ માહોલમાં NEET-UGની પરીક્ષા યોજાઇ. પહેલાની તુલનામાં આ વખતે ખાસ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી. આ વખતે 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે આની પહેલા 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કાંકરીચાળો કરનારા 9 લોકોને અરેસ્ટ કરાયા છે. આવો જાણીએ શું છે તેઓ પર આરોપ.
સોલ્વર ગેંગના 9 લોકો ઝડપાયા
પરીક્ષાના બીજા દિવસે બિહારમાં એક મોટી 'સોલ્વર ગેંગ'નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બિહારના લખીસરાયમાં સોલ્વર ગેંગના સભ્યોએ પરીક્ષામાં ચેડા કરવાનો પ્રયાસ કર્યો. તેઓ નકલી નીટ સ્ટુડન્ટ બનીને એક્ઝામ સેન્ટર પહોંચ્યા હતા. સોલ્વર ગેંગના 9 લોકોને પોલીસે ઝડપી લીધા છે. આ ઉપરાંત પોલીસે અનેક જગ્યાએ રેડ પણ પાડી છે.
તપાસ દરમિયાન, કેન્દ્રીય વિદ્યાલયમાંથી સાત, હસનપુરમાંથી એક અને કેઆરકે સ્કૂલમાંથી એક નકલ કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ મેળ ખાતા ન હોવાથી અધિકારીઓને શંકા ગઈ. ત્યારબાદ એક વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો.
ઉલ્લેખનીય છે કે આ સ્કેમમાં ચોવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બાયોમેટ્રિક વેરિફિકેશન કંપનીના 14 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ગેંગ વાસ્તવિક અરજદારોને બદલે પરીક્ષા આપવા માટે પ્રોક્સી ઉમેદવારો એટલે કે "સોલ્વર્સ" - નો ઉપયોગ કરવાની સુવિધા આપે છે, અને આ સેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલ કરે છે.
કેવી રીતે કામ કરતી હતી આ ગેંગ ?
આ ગેંગે MBBS વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનોને 'સોલ્વર્સ' તરીકે કામ કરવા માટે ભરતી કર્યા - એવા વ્યક્તિઓ કે જેઓ વાસ્તવિક ઉમેદવારોની જગ્યાએ કેન્દ્ર પર પરીક્ષા આપતા હતા. આને સરળ બનાવવા માટે સાચા ઉમેદવારોની બાયોમેટ્રિક વિગતો સાથે છેડછાડ કરવામાં આવી હતી. બાયોમેટ્રિક એજન્સીના કર્મચારીઓ સાથે મળીને, આ ગેંગ વાસ્તવિક ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ્સને સોલ્વર્સ સાથે બદલી નાખતી હતી. આ પ્રક્રિયા દરમિયાન મોટી રકમના પૈસાની લેવડદેવડ થઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ગેંગનું નેટવર્ક દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલું છે.
NEET-UG પુનઃપરીક્ષા દરમિયાન છેતરપિંડીના કિસ્સાઓ પર ટિપ્પણી કરતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના DG અભિષેક સિંહે જણાવ્યું હતું કે બિહારના લખીસરાયમાંથી કેટલાક કેસ નોંધાયા છે. કેટલાક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય કિસ્સાઓમાં, વ્યક્તિઓએ બીજા ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો. આવી ગેરરીતિઓને રોકવા માટે અમે દરેક સ્તરે શોધ, તપાસ, CCTV સર્વેલન્સ અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ જેવા પગલાંનો ઉપયોગ કરીએ છીએ.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?