અમદાવાદ શહેરમાં લેવાયેલી Re-NEET પરીક્ષા દરમિયાન હિજાબ, બુરખા અને હિન્દુ વિદ્યાર્થીઓના પવિત્ર દોરા-ધાગા તેમજ કંઠી ઉતરાવવાને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓ ધાર્મિક પ્રતીકો અને હિજાબ પહેરીને આવ્યા હોવાથી હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અને બહાર ઉભેલા વાલીઓમાં ભારે રોષ અને દોડધામ મચી ગઈ હતી.


'હિન્દુઓના દોરા ઉતરાવ્યા તો બુરખા સામે પણ વાંધો ઉઠ્યો'

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતો થતાં જ કેન્દ્ર સંચાલક તાત્કાલિક મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે આ મામલે સત્તાવાર ખુલાસો કર્યો હતો. સંચાલકે જણાવ્યું કે, શરૂઆતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કડક નિયમોનું પાલન કરાવતી વખતે અમારા હિન્દુ ભાઈઓના હાથમાં બાંધેલા પવિત્ર દોરા-ધાગા ઉતરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર પર હાજર કેટલાક લોકો અને સ્ટાફ દ્વારા ત્યાં બુરખો અને હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

NTA ગાઈડલાઈન મુજબ બુરખામાં છૂટ, સમજફેર દૂર કરાઈ

કેન્દ્ર સંચાલકે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ સમગ્ર વિવાદ માત્ર ને માત્ર સ્ટાફ અને વાલીઓ વચ્ચેની 'સમજફેર'ના કારણે સર્જાયો હતો. તેમણે કહ્યું, જ્યારે વિવાદ વધ્યો ત્યારે મેં વિદ્યાર્થિનીઓના માતા અને વાલીઓને ઓફિસમાં બોલાવીને રૂબરૂ વાતચીત કરી સમજાવટ કરી હતી. NTAની સત્તાવાર ગાઈડલાઈન મુજબ ધાર્મિક પોશાક કે બુરખો વગેરે પહેરીને પરીક્ષા આપવાની નિયમોને આધીન છૂટછાટ છે. આ ગાઈડલાઈન સ્પષ્ટ થતાં જ બાદમાં તમામ વિદ્યાર્થિનીઓને બુરખા અને હિજાબ સાથે જ પરીક્ષા હોલમાં પ્રવેશ આપી દેવાયો હતો અને મામલો શાંત પડ્યો હતો.


આ પણ વાંચો - Ahmedabad News: NEET પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીના ગળામાંથી કંઠી કઢાવી, હિઝાબ પહેરેલી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ


  • Follow us on: