અમદાવાદ શહેરમાં લેવાયેલી Re-NEET પરીક્ષા દરમિયાન હિજાબ, બુરખા અને હિન્દુ વિદ્યાર્થીઓના પવિત્ર દોરા-ધાગા તેમજ કંઠી ઉતરાવવાને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓ ધાર્મિક પ્રતીકો અને હિજાબ પહેરીને આવ્યા હોવાથી હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અને બહાર ઉભેલા વાલીઓમાં ભારે રોષ અને દોડધામ મચી ગઈ હતી.
'હિન્દુઓના દોરા ઉતરાવ્યા તો બુરખા સામે પણ વાંધો ઉઠ્યો'
આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતો થતાં જ કેન્દ્ર સંચાલક તાત્કાલિક મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે આ મામલે સત્તાવાર ખુલાસો કર્યો હતો. સંચાલકે જણાવ્યું કે, શરૂઆતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કડક નિયમોનું પાલન કરાવતી વખતે અમારા હિન્દુ ભાઈઓના હાથમાં બાંધેલા પવિત્ર દોરા-ધાગા ઉતરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર પર હાજર કેટલાક લોકો અને સ્ટાફ દ્વારા ત્યાં બુરખો અને હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.













