યુક્રેન યુદ્ધ અંગે આગામી 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વ નેતાઓનો સંપર્ક વધારવાનું શરૂ કરી દીધું છે. સોમવારે ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે.
ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
ઝેલેન્સકીએ સોશિયલ મીડિાય પર પોસ્ટ કરતા લખ્યું, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગ અને એકંદર રાજદ્વારી પરિસ્થિતિ સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. હું અમારા લોકોને ઉષ્માભર્યા સમર્થન માટે વડાપ્રધાનનો આભારી છું."
PM મોદીએ કરી પોસ્ટ
વડાપ્રધાન મોદીએ X પર આ વાતચીત વિશે પણ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, "રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરીને અને તાજેતરના વિકાસ પર તેમના મંતવ્યો જાણીને મને આનંદ થયો. મેં તેમને સંઘર્ષનો વહેલો અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતના મક્કમ વલણ વિશે વાત કરી. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે."
ઝેલેન્સકીએ યુક્રેનના નુકસાન વિશે કરી ચર્ચા
પીએમ મોદીને ઝેલેન્સકીએ રશિયન હુમલાઓથી યુક્રેનિયન શહેરો અને ગામડાઓને થયેલા નુકસાન અને ગઈકાલે ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા હુમલા વિશે માહિતી આપી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા દ્વારા અહીંના શહેરી સુવિધા પર ઈરાદાપૂર્વક બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા. આ એવા સમયે છે જ્યારે યુદ્ધ સમાપ્ત થવાની રાજદ્વારી શક્યતા આખરે છે. ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધવિરામ માટે તૈયારી બતાવવાને બદલે રશિયા ફક્ત કબજો અને હત્યાઓ ચાલુ રાખવાની ઈચ્છા બતાવી રહ્યું છે.