ભારત અને સાઉદી અરબે જળ સંસાધન વ્યવસ્થાપન અને પાણી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર જેદ્દાહમાં આયોજિત 'સાઉદી વોટર વીક' દરમિયાન કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે થયેલો આ કરાર પાણીના અસરકારક સંચાલન અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


MOU પર કોણે કોણે કર્યા હસ્તાક્ષર?

સત્તાવાર નિવેદન અનુસાર, આ સમજૂતીનો મુખ્ય હેતુ જળ સંસાધન આયોજન, ટકાઉ જળ વ્યવસ્થાપન, સિંચાઈ પ્રણાલીઓના વિકાસ તેમજ પાણી સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. સાથે જ બંને દેશો વચ્ચે ક્ષમતાવર્ધન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમજૂતી કરાર પર સાઉદી અરબમાં ભારતના રાજદૂત સુહેલ ખાન અને સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી અબ્દુલ રહમાન અબ્દુલ મોહસિન અલ-ફદલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના કાઉન્સલ જનરલ ફહદ સૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ કરાર ભારત અને સાઉદી અરબ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે. જળ સંસાધનોના સંરક્ષણ અને અસરકારક ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતી બંને દેશો માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ભાગીદારી દ્વારા આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને પાણી સંચાલનની નવી પદ્ધતિઓનો લાભ બંને દેશોને મળશે.

આ પણ વાંચો : Bangladesh Politics News: 663 કેસ અને ફાંસીની સજા છતાં Sheikh Hasina કેમ પરત ફરી રહ્યા છે બાંગ્લાદેશ?


  • Follow us on: