- રેલવે બોર્ડના નવા CEO બન્યા સતિષ કુમાર
- જયા વર્મા સિંહાનું લેશે સ્થાન
- 1988માં રેલવેમાં કરિયરની કરી હતી શરૂઆત
ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ એન્જિનિયર્સ (IRMS) અધિકારી સતીશ કુમારને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEOની જવાબદારી મળી છે. રેલ્વે બોર્ડના ઈતિહાસમાં તેઓ પ્રથમ દલિત અધિકારી છે જેઓ રેલ્વે બોર્ડના વર્તમાન સીઈઓ જયા વર્મા સિન્હાનું સ્થાન લેશે. જયા વર્મા સિન્હા 31મી ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ સતીશ કુમારના નામને મંજૂરી આપી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક ટોચના પગાર ધોરણ પર કરવામાં આવી છે.
જાણો કોણ છે સતીષ કુમાર
સતીશ કુમાર 1986 બેચના ઈન્ડિયન રેલવે સર્વિસ ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (IRSME) અધિકારી છે. તેઓ માર્ચ 1988માં રેલવેમાં જોડાયા હતા. તેમની 34 વર્ષની કારકિર્દીમાં સતીશ કુમારે ભારતીય રેલવેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 8 નવેમ્બર 2022 ના રોજ, તેમણે ઉત્તર મધ્ય રેલવે (પ્રયાગરાજ) ના જનરલ મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો સતીશ કુમારે માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNIT), જયપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. આ સાથે તેણે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ઓપરેશન મેનેજમેન્ટ અને સાયબર લોમાં પીજી ડિપ્લોમા પણ કર્યો છે.
1988માં રેલવેમાં જોડાયા
સતીશ કુમારે માર્ચ 1988 માં ભારતીય રેલ્વેમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે વિવિધ ઝોન અને વિભાગોમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં સેવા આપી છે. તેઓ રેલ્વેમાં ઘણા સુધારાઓ માટે જાણીતા છે શરૂઆતમાં તેમની નિમણૂક પૂર્વ રેલવેના ઝાંસી વિભાગ અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ (BLW)માં કરવામાં આવી હતી.
ફોગ સેફ ડિવાઇસ વિકસાવ્યું
સતીશ કુમારનું એક મહત્વપૂર્ણ યોગદાન તેમના દ્વારા વિકસિત ધુમ્મસ સલામત ઉપકરણ છે, જે ધુમ્મસની સ્થિતિમાં સુરક્ષિત ટ્રેન સંચાલનને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે આ ઉપકરણ ભારતીય રેલ્વે માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીના મહિનામાં જ્યારે વિઝિબિલિટી ઘટી જાય છે ત્યારે આ ડિવાઈસએ જોખમને ઘણી હદ સુધી ઘટાડી દીધું છે.