- ઝારખંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને રાહત
- આ કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી
- લાલુ યાદવ ખરાબ તબિયતના કારણે હાલમાં જામીન પર બહાર છે
લાલુ પ્રસાદ યાદવને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. ઝારખંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને આપવામાં આવેલી જામીનને પડકારતી CBIની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને પેન્ડિંગ અપીલોની યાદીમાં મૂકી હતી. આ કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી.
ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે તેઓ નોટિસ જારી કરી રહ્યા નથી, પરંતુ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન પેન્ડિંગ અપીલ સાથે આ બાબતને જોડી રહ્યા છે. એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી રાજુ અને એડવોકેટ રજત નાયરે આ મામલે નોટિસ જારી કરવાની માંગ કરી હતી, પરંતુ બેન્ચે કહ્યું હતું કે તે આ મામલાની એકસાથે સુનાવણી કરશે અને નોટિસ ઈશ્યૂ કરવા ઈચ્છુક નથી. CBIએ તેમની અરજીમાં લાલુ યાદવને જામીન આપવાના ઝારખંડ હાઈકોર્ટના 22 એપ્રિલ, 2022ના આદેશને પડકાર્યો હતો. 74 વર્ષીય યાદવ ઘાસચારા કૌભાંડના વિવિધ કેસોમાં દોષિત જાહેર થયા બાદ ખરાબ તબિયતના કારણે હાલમાં જામીન પર બહાર છે.













