લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર પોતાની રિલેશનશિપને લઇને કરેલા ખુલાસા બાદ માહોલ ગરમાયો છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડનો પણ ફોટો શેર કર્યો હતો. જો કે બાદમાં આ બધુ એઆઇ જનરેટેડ અને બદનામ કરવા માટે હોવાનું ગણાવીને તેમણે તે પોસ્ટ ડિલીટ કરી હતી. જો કે આ બાબતની લાલુ યાદવના પરિવારમાં મોટો ફટકો પડ્યો હતો. લાલુ યાદવે તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મૂક્યા. ત્યારે હવે તેજ પ્રતાપની પૂર્વ પત્ની ઐશ્વર્યાનું આ અંગે નિવેદન સામે આવ્યું છે.


આખો પરિવાર નાટક કરી રહ્યો છે'- ઐશ્વર્યા

આ અંગે તેજ પ્રતાપ યાદવની પૂર્વ પત્ની ઐશ્વર્યા રાયે કહ્યું કે મારું જીવન કેમ બરબાદ કરવામાં આવ્યું ? મને કેમ મારવામાં આવી ? હવે અચાનક તેઓ સામાજિક રીતે જાગૃત બની ગયા ? તેઓ બધા એક જ છે. અલગ થયા નથી...ચૂંટણી નજીક છે એટલે આ પ્રકારનુ પગલુ ભરીને માત્ર નાટકો કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાયે વધુમાં જણાવ્યું કે જો લાલુ પ્રસાદ યાદવના પરિવારને આ બધી ખબર હતી તો મારા લગ્ન કેમ કરાવ્યા? મારું જીવન કેમ બરબાદ કર્યુ ? મને મારા છૂટાછેડા વિશે મીડિયા દ્વારા ખબર પડી. મને જે પણ માહિતી મળી તે મીડિયા દ્વારા હતી... મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે... તેમને તમે પૂછો કે મારું જીવન બરબાદ કરવાની શું જરૂર હતી? જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે તેઓનો સામાજિક ન્યાય ક્યાં હતો?

વધુમાં કહ્યુ કે દરેક બાબતનો દોષ મારી પર નાંખે છે. હવે આ વાત સામે આવી ગઇ છે કે તેનું 12 વર્ષથી અફેર ચાલી રહ્યુ હતું. અને મહિલાને દોષી ગણવી તો સૌથી સરળ છે. મને ક્યારે ન્યાય મળશે. હું મારી લડાઇ ચાલુ રાખીશ.


તે પોતે સક્ષમ છે- લાલુ યાદવ

લાલુ યાદવે પોસ્ટ કરતા જણાવ્યું કે તે પોતે પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા સક્ષમ છે. તેનાથી જે પણ લોકો સંબંધ રાખશે તેઓ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવા જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો સમર્થક રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે.

લાલુ યાદવે વધુમાં કહ્યું કે પર્સનલ જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારથી દૂર રાખું છું. હવેથી તેમની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

તેજ પ્રતાપે ગર્લફ્રેન્ડ વિશે કરી હતી પોસ્ટ

ઉલ્લેખનીય છે કે પુત્ર તેજ પ્રતાપે ગઇકાલે એક પોસ્ટ શેર કરીને ગર્લફ્રેન્ડનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેજ પ્રતાપે લખ્યુ કે હું ઘણા સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું. તો આજે આ પોસ્ટ દ્વારા હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું! મને આશા છે કે તમે બધા મારી વાત સમજી શકશો.

પછીથી પોસ્ટ કરી ડિલીટ

જોકે પછીથી એવુ સામે આવ્યું હતું કે તેજ પ્રતાપે પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક કરવામાં આવ્યું છે અને મારા ફોટા ખોટી રીતે એડિટ કરવામાં આવ્યા છે જેથી મને અને મારા પરિવારના સભ્યોને હેરાન અને બદનામ કરી શકાય. હું મારા શુભેચ્છકો અને અનુયાયીઓને સાવચેત રહેવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરું છું.

  • Follow us on: