- સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન લંબાવાયા
- સુપ્રિમ કોર્ટે આપ્યા નિર્દેશ
- નિયમિત જામીન અરજી પર થશે 4 ડિસેમ્બરે સુનાવણી
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને વચગાળાના જામીન 4 ડિસેમ્બર સુધી લંબાવી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બેલા ત્રિવેદીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુનાવણી કરવાની હતી, પરંતુ તેમાં સામેલ જસ્ટિસ એ.એસ બોપન્ના સુનાવણી માટે હાજર ન હતા. જેથી સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીનને 4 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ 4 ડિસેમ્બરે સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ હવે 4 ડિસેમ્બરે જ સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર સુનાવણી કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને 9 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપ્યા હતા. EDએ દાવો કર્યો હતો કે AAP નેતાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ જામીન અરજીને ટાંકીને ટ્રાયલ કોર્ટમાં સુનાવણી સ્થગિત કરવાની વારંવાર માંગ કરી રહ્યા છે. EDનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈને ટ્રાયલ કોર્ટમાંથી 16 તારીખો લીધી છે.
સત્યૈન્દ્ર જૈન પર શું છે આરોપ ?
સત્યેન્દ્ર જૈન પર તેની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે. સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ વર્ષ 2017માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ પણ નોંધ્યો હતો. CBI કેસમાં સત્યેન્દ્ર જૈનને 6 સપ્ટેમ્બર 2019થી ટ્રાયલ કોર્ટમાંથી સતત જામીન મળી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ગયા વર્ષે 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. આ વર્ષે 26 મેના રોજ સુપ્રીમ કોર્ટે જૈનને કરોડરજ્જુની સર્જરી કરાવવા માટે છ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી 12 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે જૈનની વચગાળાની જામીન 25 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.