• મનીષ સિસોદિયાએ રાજીનામું આપ્યું
  • સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપ્યુ
  • બંનેના રાજીનામા કેજરીવાલે મંજૂર કર્યા

દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામું આપ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. માહિતી અનુસાર, CM અરવિંદ કેજરીવાલે તેમના રાજીનામાં સ્વીકાર્યા છે. દિલ્હી સરકારના આ બંને મંત્રીઓ હાલ વિવાદોમાં ઘેરાયેલા છે. 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન મેળવવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, AAP નેતા મનીષ સિસોદિયા હાલમાં CBI કસ્ટડીમાં છે. 

 

મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના ઘણા વિભાગોની જવાબદારી હતી. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા પછી મનીષ સિસોદિયા તેમના વિભાગનું કામ પણ સંભાળી રહ્યા હતા. મનીષ સિસોદિયા દિલ્હી સરકારના 33માંથી 18 વિભાગનો હવાલો સંભાળતા હતા. સત્યેન્દ્ર જૈન છેલ્લા નવ મહિનાથી જેલમાં છે. જ્યારથી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ કેજરીવાલ સરકાર પર આક્રમક બની ગઈ હતી અને બંને મંત્રીઓના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. બંનેના રાજીનામા અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે, બે મંત્રીઓના રાજીનામાંથી દિલ્હી સરકારનું કામ અટકશે નહીં અને ભાજપ પોતાની યોજનામાં ક્યારેય સફળ નહીં થાય.

  • Follow us on: