• રાઘવેન્દ્ર ઉમેશ પાલની સુરક્ષા હેઠળ તૈનાત હતા અને ગોળીબારમાં ઘાયલ થયા હતા
  • SGPGI લખનૌમાં સારવાર દરમિયાન આજે સાંજે રાઘવેન્દ્ર સિંહનું મૃત્યુ થયું હતું
  • ઉમેશ પાલને બચાવતા એક પોલીસકર્મી સંદીપ નિષાદનું પહેલા જ મોત થયું હતું

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા અન્ય કોન્સ્ટેબલ રાઘવેન્દ્ર સિંહનું પણ મોત થયું છે. રાઘવેન્દ્ર ઉમેશ પાલની સુરક્ષા હેઠળ તૈનાત હતા અને ગોળીબારમાં ઘાયલ થયા પછી, તેઓ SGPGI લખનૌમાં સારવાર હેઠળ હતા, જ્યાં બુધવારે સાંજે તેમનું મૃત્યુ થયું હતું.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના જયંતિપુર વિસ્તારમાં ઉમેશ પાલ પર થયેલા હુમલામાં રાઘવેન્દ્ર સિંહને પણ ઘણી ગોળીઓ વાગી હતી. બીજી તરફ, ઉમેશ પાલને બચાવતા એક પોલીસકર્મી સંદીપ નિષાદનું પહેલા જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ રાઘવેન્દ્રને પ્રયાગરાજની સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત સતત બગડતી રહી હતી, ત્યારબાદ તેમને ગ્રીન કોરિડોર કરી 26 ફેબ્રુઆરીએ SGPGI લખનૌમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાઘવેન્દ્ર સિંહ મૂળ અમેઠીના રહેવાસી હતા. તાજેતરમાં જ તેમની સગાઈ થઈ હતી અને મે મહિનામાં લગ્ન નક્કી થયા હતા. આવી સ્થિતિમાં તેમને ગોળી વાગવાના સમાચાર મળતાં ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રયાગરાજના પ્રખ્યાત રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદની શુક્રવારે સાંજે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રાજુ પાલ બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય હતા, જેની વર્ષ 2005માં હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ રાજુ પાલની હત્યાનો મુખ્ય સાક્ષી હતો, આ કેસનો મુખ્ય આરોપી અતીક અહેમદ છે, જે હાલ ગુજરાતની જેલમાં બંધ છે.


  • Follow us on: