ઉત્તરપ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતી મામલે દાખલ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો છે. CJIએ કહ્યું કે, હાઈકોર્ટનો આદેશ સ્થગિત રહેશે. આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થશે. CJIએ તમામ પક્ષકારોને લેખિત નોંધ દાખલ કરવા કહ્યું છે. અમે આ અંગે અંતિમ સુનાવણી કરીશું.
અલ્હાબાદ હાઈકોર્ટે નવું મેરિટ લિસ્ટ જાહેર કરવા આપ્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને બન્ને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા કહ્યું છે. હાઈકોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા માટે સમયની જરૂર છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં જૂન 2020 અને જાન્યુઆરી 2022ની પસંદગીની લિસ્ટને રદ કરતી વખતે યુપી સરકારને 2019માં યોજાયેલી સહાયક શિક્ષક ભરતી પરીક્ષાના આધારે ત્રણ મહિનાની અંદર 69 હજાર શિક્ષકોની નવી પસંદગી લિસ્ટ બહાર પાડવાનો આદેશ આપ્યો હતો.
શિક્ષકો તેમની નોકરી ગુમાવવાના ભયમાં
હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો અનામત કેટેગરીના ઉમેદવાર સામાન્ય કેટેગરીની સમાન મેરિટ હાંસલ કરે છે, તો તેની પસંદગી માત્ર સામાન્ય કેટેગરીમાં ધ્યાનમાં લેવી જોઈએ. હાઈકોર્ટના આ આદેશને કારણે યુપીમાં કામ કરતા મોટી સંખ્યામાં શિક્ષકોની નોકરી છીનવાઈ જવાનો ભય છે.
હાઈકોર્ટની લખનૌ બેન્ચે આપ્યો હતો આ આદેશ
ગયા મહિને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે યુપી સરકારને ત્રણ મહિનામાં ભરતી માટે નવી મેરિટ લિસ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું હતું કે, 69000 શિક્ષકની ભરતીમાં ઉમેદવારોને અનામતનો સંપૂર્ણ લાભ આપવામાં આવ્યો નથી. સોમવારે CJIની બેન્ચ સમક્ષ અરજદાર શિવમ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા.
શિક્ષક ભરતીમાં થયો અન્યાયઃ અનુપ્રિયા પટેલ
69 હજાર શિક્ષકોની ભરતીને લઈને સરકારને વિપક્ષ તેમજ સાથી પક્ષોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. NDAના સાથી પક્ષ અપના દળ (એસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે તાજેતરમાં કહ્યું હતું કે, શિક્ષકની ભરતીમાં OBC ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. અનામતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અપના દળ(એસ)નું સ્ટેન્ડ સ્પષ્ટ છે. તેમનો પક્ષ જાતિ ગણતરીના પક્ષમાં રહ્યો છે. દેશમાં જ્ઞાતિની વસ્તી ગણતરી થવી જોઈએ.
ભાજપ ક્યારેય નોકરીઓ આપવાના પક્ષમાં નહોતું
ગયા અઠવાડિયામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ યોગી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેદવારોને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યોગી સરકાર ન્યાય નહીં આપે. જેની આંખમાં પાણી આવી ગયા હોય તેની સામે વરસાદમાં તબિયત બગાડશો નહીં. સત્ય એ છે કે ભાજપ ક્યારેય નોકરીઓ આપવાના પક્ષમાં નહોતું.