1 નવેમ્બર, 2025થી બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના નિયમોમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. આનાથી બેંક ગ્રાહકો, સરકારી કર્મચારીઓ અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરનારા લોકો પર અસર પડશે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આ સેવાઓ સાથે જોડાયેલી છે. આ ફેરફારો મુખ્યત્વે બેંક ખાતાઓ માટે મલ્ટીપલ નોમિનેશન, SBI કાર્ડ ફી અને પેન્શનરો સાથે સંબંધિત છે.
પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્રની તારીખ
તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સે 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2025ની વચ્ચે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે, જેથી તેમના પેન્શનમાં કોઈપણ રીતે વિક્ષેપ ન પડે. જો કે, સરકારે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી જ શરૂ કરી દીધેલી છે. સરકારે બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે જે પેન્શનર્સ ગંભીર રીતે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને શાખા પર પહોંચવામાં અસમર્થ છે તેમને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. બેંકોએ તેમની સાથે મુલાકાત કરીને તેમના જીવન પ્રમાણપત્રો તૈયાર કરવામાં મદદ કરવી જોઈએ.













