દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા હવે ગંભીર જાહેર આરોગ્ય મુદ્દો બની ગઈ છે. 2019ની 20મી પશુ ગણતરીમાં નોંધાયું કે ભારતમાં કુલ 1.53 કરોડ રખડતા શ્વાન છે, જ્યારે 2012માં આ આંકડો 1.71 કરોડ હતો. દિલ્હીમાં 60,472 શ્વાનો હોવાનો અંદાજ મુકાયો હતો, જોકે હાલ આ સંખ્યા વધી ગઈ હોવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્ર એ એવા રાજ્ય છે જ્યાં આ પ્રાણીઓની સંખ્યા સૌથી વધારે છે — માત્ર ઉત્તર પ્રદેશમાં જ 20 લાખથી વધુ અને મહારાષ્ટ્રમાં 12.7 લાખ શ્વાનો નોંધાયા છે.
શ્વાન કરડવાના વધતા બનાવો
વર્ષ 2024 દરમિયાન સમગ્ર ભારતમાં 37,15,713 શ્વાન કરડવાના બનાવ નોંધાયા હતા. ફક્ત જાન્યુઆરી 2025માં જ દિલ્હીમાં 3,196 કેસ નોંધાયા, એટલે કે સરેરાશ રોજના 103 બનાવ. 2024માં અહીં 25,210 (69 પ્રતિ દિવસ), 2023માં 17,874 (49 પ્રતિ દિવસ) અને 2022માં 6,691 (18 પ્રતિ દિવસ) કિસ્સાઓ નોંધાયા હતા.
હડકવાના કારણે થતી જાનહાનિ
હડકવું (Rabies) એક એવો રોગ છે જે સમયસર સારવાર ન મળે તો 100% જીવલેણ સાબિત થાય છે. તાજેતરના મહિનાઓમાં નાની બાળકીથી લઈને કબડ્ડી ખેલાડી સુધીના લોકો કૂતરા કરડવાથી હડકવાના શિકાર થઈ મૃત્યુ પામ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે આશરે 300 લોકો આ રોગથી પ્રાણ ગુમાવે છે.
WHO મુજબના ચોંકાવનારા આંકડા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 18,000 થી 20,000 લોકો રેબીઝના કારણે મૃત્યુ પામે છે. આ ઊંચી સંખ્યા એટલા માટે છે કારણ કે અનેક કિસ્સાઓ સત્તાવાર રીતે નોંધાતા નથી. ફક્ત નોંધાયેલા કેસોની વાત કરીએ તો, 2024માં દેશમાં 37.16 લાખ શ્વાન કરડવાના બનાવ થયા હતા. આ વર્ષે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને બિહારમાં સૌથી વધુ બનાવ નોંધાયા. 2023માં 30.53 લાખ, 2022માં 21.9 લાખ, 2021માં 17 લાખથી વધુ અને 2020માં 46 લાખથી વધુ બનાવ નોંધાયા હતા.
સુપ્રીમ કોર્ટનો આદેશ
11 ઓગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટએ દિલ્હી અને એનસીઆર વિસ્તારમાંથી બધા રખડતા શ્વાનોને રસ્તાઓ પરથી દૂર કરી, 6 થી 8 અઠવાડિયામાં આશ્રયસ્થાનોમાં ખસેડવા આદેશ આપ્યો. આ નિર્ણયને કારણે ભારે ચર્ચા થઈ. પ્રાણી કલ્યાણ સંસ્થાઓએ તેને અમલીકરણ માટે મુશ્કેલ અને વૈજ્ઞાનિક આધાર વિના ગણાવ્યો, કારણ કે દેશમાં આટલી મોટી સંખ્યામાં શ્વાનો માટે પૂરતા આશ્રયસ્થાનો ઉપલબ્ધ નથી.
વસ્તી નિયંત્રણ અને રસીકરણ માટે સરકારની યોજના
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 2030 સુધીમાં ભારતમાં શ્વાનમાં હડકવાનો નાશ કરવા માટે રાષ્ટ્રીય કાર્યયોજના અમલમાં મૂકી છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગે પશુ જન્મ નિયંત્રણ (કૂતરા) નિયમો, 2001 (2010માં સુધારેલા) ઘડ્યા છે, જે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા લાગુ થાય છે. આ નિયમોનો મુખ્ય હેતુ રખડતા શ્વાનોની નસબંધી અને હડકવા વિરોધી રસીકરણ દ્વારા તેમની સંખ્યા નિયંત્રિત કરવો છે.