તાજમહેલ ફક્ત એક સ્મારક નથી પણ દેશ વિદેશમાં ભારતની એક ઓળખાણ પણ છે. દર વર્ષે, લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે આજના લેખમાં જાણીએ કે આ પ્રેમનું પ્રતિક કયા દિવસે પર્યટકો માટે બંધ રહે છે અને તેના બંધ થવા પાછળનું કારણ શું છે.


તાજમહેલ શુક્રવારે રહે છે બંધ

આગ્રાની આન બાન અને શાન જેની સુંદર કલાકૃતિ અને ભવ્યતા જોવા માટે આગ્રાની મુલાકાતે દુનિયા ભરમાંથી લોકો આવે છે આવો તાજમહેલ અઠવાડિયાના શુક્રવારે રહે છે બંધ. તાજમહેલ દરરોજ સવારે 6:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે પરંતુ તાજમહેલ સંકુલની અંદર સ્થિત મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે, જેના કારણે તે આ દિવસે બંધ રહે છે.

ધાર્મિક વિધિઓનો આદર કરવા લેવાયો નિર્ણય

દેશ વિદેશના પર્યટકો માટે તાજમહેલની સુંદરતા જોવા માટે શુક્રવાર સિવાય તમામ દિવસે તાજમહેલને જોવાની મંજૂરી મળી જાય છે પરંતુ અઠવાડિયાના શુક્રવારે તાજમહેલમાં ધાર્મિક વિધિઓનો આદર કરવા માટે તેને બંધ રાખવામાં આવે છે. આ સિવાય આખા વર્ષમાં ખાસ કરીને રમઝાન મહિના દરમિયાન તાજમહેલના રાત્રિ દર્શન પર પણ રોક લગાવામાં આવે છે. રમઝાન મહિના દરમિયાન તાજમહેલને દિવસે જોવાની મંજૂરી હોય છે.

શું છે તાજમહેલની ટિકિટના દર?

તાજમહેલના દર્શન કરવા માટે ભારતીય નાગરિકોએ દિવસની મુલાકાત માટે ₹50 ચૂકવવા પડે છે જ્યારે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તાજમહેલના દર્શન મફતમાં કરી શકે છે. આ સાથે, રાત્રિ દર્શન ટિકિટની કિંમત પુખ્ત વયના લોકો માટે ₹510 અને 3 થી 15 વર્ષની વયના બાળકો માટે ₹500 છે. વિદેશી પ્રવાસીઓ માટે દિવસની મુલાકાત માટે ₹1,100 ચૂકવવા પડતાં હોય છે. 

  • Follow us on: