દરેક ઘરમાં અત્યારે દિવાળીમાં ઘરને સુંદર બનાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ઘરમાં દરેક ખૂણે-ખૂણાની સફાઈ કરવામાં આવશે. દિવાળીની સફાઈની શરૂઆત ઘરના મંદિરથી કરવાને શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો પહેલા પોતાના રૂમ અને ઘર સાફ કરે છે અને પછી મંદિર. પરંતુ દિવાળીની સફાઈ મંદિરથી જ શરૂ કરવી વધુ સારું રહેશે. દિવાળીમાં પૂજા દરમિયાન, સમગ્ર પરિવાર સ્વચ્છ મંદિર સમક્ષ ભગવાનને પ્રાર્થના કરવાથી જરૂર માતા લક્ષ્મીના આર્શીવાદ મળશે.
સુંદર મંદિર મનને શાંત રાખશે
એક સ્વચ્છ અને સુંદર મંદિર મનને શાંત રાખશે અને પૂજાનું વાતાવરણ શુદ્ધ રાખશે. મંદિરની સફાઈ માટે પહેલા અંદર દેવી-દેવતાઓની તમામ મૂર્તિઓ, વાસણો, દીવા, ફૂલો અને થાળીઓને દૂર કરી દો. પછી ભગવાનને અર્પણ કરેલા સૂકા ફૂલો અને પ્રસાદ અથવા તૂટેલી વસ્તુઓ પણ બાજુ પર રાખો. મંદીરમાં રહેલ તૂટેલ મૂર્તિ અને વસ્તુઓનો આદરપૂર્વક નિકાલ કરવો જોઈએ તેને કોઈ કચરાપેટીમાં ફેંકવાના બદલે યોગ્ય જગ્યાએ મૂકો. મંદિરમાં ભગવાન માટે બનાવેલ સુંદર રેશમી ગાદી અને અને પડદા ધોઈ લો. મંદિરના સુશોભનમાં આર્ટિફિશયલ ફૂલો લગાવ્યા હોય તો તે બદલી કાઢો.













