મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા (મનપા) નો દરજ્જો મળ્યા બાદ ઊભા થયેલા જમીન કપાતના વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે. ટી.પી. (ટાઉન પ્લાનિંગ) અને ડી.પી. (ડેવલપમેન્ટ પ્લાન) હેઠળ ખેડૂતોની 40% જેટલી જમીન કપાત થવાની ભીતિ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના અમલીકરણથી નારાજ ખેડૂતોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે મહેસાણાના 18 જેટલા ખેડૂત આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ બેઠક યોજી હતી.
ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જઈ રહી છે
ખેડૂતોનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે મનપા બન્યા બાદ લાવવામાં આવેલી નવી યોજનાઓમાં ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જઈ રહી છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર થતા ખેડૂતો પોતાની ખેતીલાયક જમીન ગુમાવવાનો ડર અનુભવી રહ્યા છે. અગાઉ ખેડૂતોએ આક્રમક વલણ અપનાવીને જાહેરાત કરી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગામી મનપાની ચૂંટણીમાં મતદાન નહીં કરે અને પ્રચારનો પણ બહિષ્કાર કરશે.













