બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વેરા ગામમાં આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના મતદારોનું અન્ય વિસ્તારમાં વિભાજન કરી દેવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જોકે, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવતા અને આશ્વાસન આપતા આખરે મામલો થાળે પડ્યો હતો.
એક વર્ષની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વેરા ગામના મતદારોના વિભાજનનો પ્રશ્ન છેલ્લા 12 મહિનાથી સળગી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે એક વર્ષ પહેલા પણ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા આ અવગણના કરવામાં આવતા આજે ચૂંટણીના દિવસે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો અને લોકો મતદાનથી અળગા રહ્યા હતા.













