• T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ બની ચેમ્પિયન
  • વિરાટ, રોહિત અને જાડેજાએ નિવૃતિની જાહેરાત કરી
  • ચેમ્પિયન્સ ટ્રોફી અને WTCમાં સિનિયર ખેલાડીઓને મળશે તક

T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થશે. BCCIએ કહ્યું છે કે ભારતીય ટીમનો નવો કોચ અને T20માં નવો કેપ્ટન કોણ હશે, તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. BCCI સેક્રેટરીએ કહ્યું કે ક્રિકેટ સલાહકાર સમિતિએ ટીમના હેડ કોચની ભૂમિકા માટે બે નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. T20 વર્લ્ડકપ 2024ની સમાપ્તિ સાથે જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.

ટીમને મળશે નવા હેડ કોચ

મેગા-ઇવેન્ટ પછી, ભારતીય ક્રિકેટ ટીમ હવે આ મહિનાના અંતમાં શ્રીલંકામાં શરૂ થનારી આગામી મર્યાદિત ઓવરોની સિરીઝ માટે નવા હેડ કોચનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ભારતીય મહિલા કોચ વર્કેરી રમણ આ રોલ માટે પ્રબળ દાવેદાર છે. નવા કોચના નેતૃત્વમાં ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતી જોવા મળશે. T20 ચેમ્પિયન ભારતની નજર વધુ એક ICC ટાઇટલ પર હશે.

જોકે, BCCI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં જ T20 ફોર્મેટને અલવિદા કહી ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે. ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતતાની સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને ત્યારથી પ્રશંસકોના મનમાં અનેક સવાલો હતા.

સિનિયર ખેલાડીઓને મળશે તક

રોહિત, કોહલી અને જાડેજાની નિવૃત્તિ સાથે, ભારત નવા યુગના ઉંબરે ઉભું છે. BCCI સેક્રેટરીએ ભારતીય બેન્ચની મજબૂતાઈ અને ઊંડાણ વિશે વાત કરતાં પરિવર્તન અંગે આત્મવિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું, "ત્રણ મહાન ખેલાડીઓની નિવૃત્તિ સાથે ટીમમાં બદલાવ આવી ચૂક્યો છે. અમારી પાસે સૌથી મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે. આ ટીમમાંથી માત્ર ત્રણ ખેલાડી જ ઝિમ્બાબ્વે જઈ રહ્યા છે. જો જરૂર પડશે તો અમે ત્રણ ટીમોને મેદાનમાં ઉતારી શકીએ છીએ."

વધુમાં કહ્યું કે, હું ઇચ્છું છું કે ભારત તમામ ટાઇટલ જીતે. આ ટીમ જે રીતે આગળ વધી રહી છે, અમારો ઉદ્દેશ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે. અને આ બંને ટૂર્નામેન્ટમાં સિનિયર ખેલાડીઓ પણ હાજર હશે.

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 8 ટીમો 15 મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ 9મી માર્ચે રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો સમગ્ર પ્રયાસ ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો પાકિસ્તાનમાં આયોજિત કરવાનો છે, પરંતુ BCCI ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ માટે મોકલશે કે નહીં તે અંગે પ્રશ્નો રહે છે.

  • Follow us on: