• ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે
  • પાકિસ્તાનમાં ભારતીય ટીમની સુરક્ષા ચિંતાનો વિષય
  • BCCIએ પાકિસ્તાન પ્રવાસ અંગે આપ્યો જવાબ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની મેચો કરાંચી, રાવલપિંડી, લાહોર અને ઈસ્લામાબાદમાં યોજાવાની છે. આ પહેલા આતંકવાદી બુરહાન વાનીની પુણ્યતિથિ નિમિત્તે કરાંચી અને ઈસ્લામાબાદમાં મોટા પાયે આતંકવાદ તરફી રેલીઓના વીડિયો સામે આવ્યા છે. હિઝબુલ મુજાહિદ્દીનનો પોસ્ટર બોય બુરહાન વાની એક આતંકવાદી સંગઠનનો ભાગ હતો. જેને યુરોપિયન યુનિયન, કેનેડા, અમેરિકા અને ભારત દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

8 જુલાઈના રોજ, આતંકવાદી બુરહાન વાનીની પુણ્યતિથિ પર, જમ્મુ વિભાગના બડનોટા ગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા લશ્કરના કાફલા પર ઓચિંતા હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હિંસાનું સમર્થન કરવા માટે ઘણા આતંકવાદી સમર્થકોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું સમર્થન મળી રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા ચિંતાનો વિષય

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળો ભારતીય ક્રિકેટ ટીમ માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય છે. જો આપણે માત્ર કરાચીની વાત કરીએ, જે ટુર્નામેન્ટના ત્રણ પ્રસ્તાવિત સ્થળોમાંથી એક છે. અહીં હાજર નેશનલ ક્રિકેટ સ્ટેડિયમથી લગભગ 6 કિમી દૂર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભારત વિરોધી નારા લગાવતા જોવા મળ્યા હતા. રાજધાની ઇસ્લામાબાદની શેરીઓમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં ભારતીય હાઇ કમિશન ભારત વિરોધી મેળાવડાનું નિશાન બન્યું હતું. આ સ્થળ ICC ચેમ્પિયન ટ્રોફીના અન્ય સ્થળ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમથી થોડાક કિલોમીટર દૂર છે.

શાહિદ આફ્રિદીએ કરી અપીલ

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનની મુલાકાત લેવાની વિનંતી કરતાં દલીલ કરી છે કે રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આફ્રિદીએ પાકિસ્તાનમાં વિરાટ કોહલીના વિશાળ પ્રશંસક વર્ગનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો તે પાકિસ્તાન આવશે તો તે ભારત પ્રત્યેના પ્રેમને ભૂલી જશે.

BCCIએ પાકિસ્તાન પ્રવાસ અંગે આપ્યો જવાબ

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મે 2024માં કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે. શુક્લાએ કહ્યું હતું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીના મામલે ભારત સરકાર અમને જે કરવાનું કહેશે તે અમે કરીશું. જ્યારે ભારત સરકાર પરવાનગી આપશે ત્યારે જ અમે અમારી ટીમ મોકલીશું. તેથી, અમે ભારત સરકારના નિર્ણય મુજબ જઈશું.

શું ભારત હાઇબ્રિડ મોડલ હેઠળ રમશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવાની ઘણી ઓછી શક્યતા છે, કારણ કે ભારત સરકાર દ્વારા આખરી નિર્ણય લેવાનો બાકી છે. તાજેતરના અહેવાલો અનુસાર, હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી શકાય છે. એશિયા કપની જેમ ભારત તેની મેચ યુએઈ અથવા શ્રીલંકામાં રમી શકે છે. આ મામલે ICCનું વલણ પણ મહત્વપૂર્ણ રહેશે.

  • Follow us on: