ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. પાંચમા દિવસના પહેલા કલાકમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલરોએ ભારે ધૂમ મચાવી અને ત્રણ મહત્વપૂર્ણ ભારતીય બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન મોકલી દીધા.
ટેસ્ટના છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાને રિષભ પંત પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ રિષભ પંત માત્ર 9 રન બનાવીને આઉટ થયો. જોફ્રા આર્ચરના ઝડપી બોલમાં રિષભ પંત ફસાઈ ગયો અને ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન પાછો ફર્યો. દિવસની રમત શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રિષભ પંત અંગે મહત્વપૂર્ણ સલાહ આપી હતી, પરંતુ ભારતીય કેમ્પે તેના પર ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે ટીમ ઈન્ડિયાને પરિણામ ભોગવવું પડ્યું.
ટીમ ઈન્ડિયાએ રવિ શાસ્ત્રીની સલાહ ન માની
રમત શરૂ થતાં પહેલાં સ્કાય સ્પોર્ટ્સ સાથે વાત કરતી વખતે રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમને મહત્વપૂર્ણ સલાહ આપી હતી. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવા જતા પહેલા રિષભ પંત સાથે કોઈપણ પ્રકારની વાતચીત ટાળવી જોઈએ. તેમને કહ્યું કે "આજે તેને જવા દો. તેની સાથે વાત કરવાની કોઈ જરૂર નથી.
જો રિષભ પંત સાથે કોઈ વાતચીત કરવામાં આવશે તો તે કન્ફ્યૂઝ થઈ જશે. તેનું કમ્પ્યુટર કામ કરી રહ્યું છે. રિષભ પંતે ઘણો અનુભવ મેળવ્યો છે. તે અહીં ઘણું રમી ચૂક્યો છે. તેની બેટિંગ એવરેજ 45 છે. રિષભ પંત જાણે છે કે શું કરવું. તે પોતાની ઈનિંગનું મહત્વ જાણે છે. પરંતુ તેને તે પોતાની રીતે કરવું પડશે. જો તે બીજા કોઈની જેમ બેટિંગ કરવાનો પ્રયાસ કરશે, તો તે મદદ કરશે નહીં."
ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ રવિ શાસ્ત્રીની સલાહનું પાલન ન કર્યું. કેપ્ટન શુભમન ગિલ લોર્ડ્સની બાલ્કનીમાં લાંબા સમય સુધી રિષભ પંત સાથે વાત કરતો જોવા મળ્યો. રિષભ પંત 12 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થયો. રિષભ પંતે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તે જોફ્રા આર્ચરના આવતા બોલને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. બોલ થોડો નીચો રહ્યો અને તેના ઓફ સ્ટમ્પ પર ગયો. ક્રીઝ પર સેટ થયા પછી 39 રન બનાવીને કેએલ રાહુલે પણ ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી. વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું.