T20 સિરીઝની ચોથી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
આનો ફાયદો ઉઠાવતા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાને પણ મોટો ઝટકો લાગ્યો. મેચ વિનર ખેલાડી બીમારીને કારણે રમી રહી નથી.
જેમીમા રોડ્રિગ્સ છે બીમાર
જેમીમા રોડ્રિગ્સને ચોથી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી છે. કારણ સમજાવતા BCCIએ કહ્યું "જેમીમા રોડ્રિગ્સને હળવા તાવને કારણે નબળાઈ લાગતી હતી અને તેથી તિરુવનંતપુરમમાં રમાનારી ચોથી T20I માટે તેમની પસંદગી થઈ શકી નથી. BCCI મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય અને રિકવરી પર નજીકથી નજર રાખી રહી છે."
BCCIના આ અપડેટથી ફેન્સની ચિંતા વધી ગઈ છે, તેઓ વિચારી રહ્યા છે કે શું તેને અંતિમ T20Iમાંથી પણ બહાર કરી શકાય છે. સિરીઝની અંતિમ મેચ 30 ડિસેમ્બરે આ જ સ્થળે રમવાની છે.
ભારતીય મહિલા બેટ્સમેનોએ મચાવી ધૂમ
ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. શેફાલી વર્માએ 171.74 ના સ્ટ્રાઈક રેટથી 46 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. સ્મૃતિ મંધાનાએ પણ 48 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 3 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા છે.
અંતે રિચા ઘોષે માત્ર 16 બોલમાં અણનમ 40 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા છે. પરિણામે ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. આ સાથે ભારતીય મહિલા ટીમે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. T20I ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમનો આ સૌથી વધુ સ્કોર છે.
આ પણ વાંચો: Smriti Mandhanaએ હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો બનાવ્યો રેકોર્ડ