સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCR ની શેરીઓમાંથી રખડતા શ્વાનને પકડીને તેમને આશ્રય ગૃહોમાં રાખવા અને તેમની નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCR પ્રશાસનને જાહેર સ્થળોએ રખડતા શ્વાનને ફરીથી ન છોડવાનો આદેશ પણ આપ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલામાં પ્રવેશ કર્યો છે. કપિલ દેવે રખડતા શ્વાનનો સામનો કરવા માટે સંવેદનશીલ અને માનવીય વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.
કપિલ દેવે રખડતા શ્વાનનું રક્ષણ કરવા માટે કરી ભાવનાત્મક અપીલ
કપિલ દેવ માને છે કે પ્રાણીઓ પણ પ્રેમને પાત્ર છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તેઓ માને છે કે આનાથી આશ્રય ગૃહોમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય રીતે સંભાળ રાખી શકાશે નહીં. પ્રાણી કલ્યાણ સંગઠન પેટફેમિલિયા માટે જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, કપિલ દેવે અધિકારીઓને રખડતા શ્વાનનું રક્ષણ કરવા માટે ભાવનાત્મક અપીલ કરી.
કપિલ દેવે કહ્યું, 'મને ખબર છે કે શ્વાન વિશે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક નાગરિક તરીકે હું માનું છું કે તેઓ સૌથી સુંદર જીવો છે. તેથી હું અધિકારીઓને વિનંતી કરું છું કે તેઓ તેમની સંભાળ રાખે, તેમને વધુ સારું જીવન આપે અને તેમને બહાર ન ફેંકે.' કપિલ દેવ લાંબા સમયથી રખડતા શ્વાનના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
કપિલ દેવે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
2023માં કપિલ દેવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી અને રખડતા શ્વાનને દૂર કરવાની મંજૂરી આપતી પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની જોગવાઈઓને પડકારી. નવેમ્બર 2022માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થયું હતું, જેના કારણે તેમને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની ફરજ પડી હતી .
કપિલ દેવ માટે આ મુદ્દો ફક્ત નીતિનો જ નહીં, પણ નૈતિક જવાબદારીનો પણ છે. કપિલ દેવ કહે છે કે સુરક્ષિત શેલ્ટર હોમ, સારી પશુચિકિત્સા સુવિધાઓ અને લાંબા ગાળાની સંભાળની વ્યૂહરચના બનાવવી જોઈએ. જેથી લોકોની સલામતી જળવાઈ રહે અને પ્રાણીઓના ગૌરવ સાથે ચેડા ન થાય. કપિલ જેવા પાલતુ પ્રેમીઓ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે આ કેસ ત્રણ ન્યાયાધીશોની ખાસ બેન્ચને મોકલી દીધો છે, જે સમગ્ર મામલા પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
કપિલ દેવનો ઈન્ટરનેશનલ રેકોર્ડ
કપિલ દેવને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મહાન ઓલરાઉન્ડર માનવામાં આવે છે. કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં કપિલ દેવે 434 વિકેટ લીધી અને 5248 રન બનાવ્યા. વનડેમાં કપિલ દેવે 253 વિકેટ અને 3783 રન બનાવ્યા છે. કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 1983ના ક્રિકેટ વર્લ્ડકપમાં ઐતિહાસિક જીત મેળવી હતી. તે જીતે ભારતીય ક્રિકેટને એક નવું પરિમાણ આપ્યું.