- વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની ટીમમાં વાપસી મુશ્કેલ
- પાકિસ્તાની ક્રિકેટરે ઈશાન અંગે પોતાનો અભિપ્રાય આપ્યો
- ઈશાન કિશન થોડો ફેશનેબલ થઈ ગયો છે: બાસિત અલી
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ માનસિક થાકના કારણે અધવચ્ચે છોડી દીધો હતો. ત્યારબાદ તે ભારતીય ટીમમાં પરત ફરી શક્યો નથી. આ 26 વર્ષીય ખેલાડીને આ વર્ષની શરૂઆતમાં BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. રિષભ પંત, સંજુ સેમસન અને અન્ય ઉભરતા વિકેટકીપર-બેટ્સમેનોના કારણે દરેક સિરીઝ સાથે ઈશાનની ભારતીય ટીમમાં વાપસીની શક્યતાઓ ઘટી રહી છે.
IPLમાં ઈશાનનું પ્રદર્શન
ઈશાન ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડકપ ટીમનો ભાગ હતો, પરંતુ તે કોઈ મેચમાં રમ્યો ન હતો. આ પછી તેણે અચાનક જ સાઉથ આફ્રિકામાં ભારતીય ટેસ્ટ ટીમ છોડી દીધી હતી. આ પછી, તે ભારતીય ક્રિકેટ બોર્ડના આદેશ વિરુદ્ધ ઘરેલુ ક્રિકેટથી દૂર રહ્યો હતો. ઈશાનનું IPL 2024માં પણ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેણે 14 મેચમાં માત્ર 324 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડકપની ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી.
પાકિસ્તાની ક્રિકેટરે પોતાનો અભિપ્રાય આપ્યો
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ તાજેતરમાં જ ઈશાનના પતન માટે પોતાને જવાબદાર ગણાવતા કહ્યું કે તેણે પોતાનું ક્રિકેટ પરથી ધ્યાન ગુમાવ્યું હતું. બાસિલ અલીએલ વધું કહ્યું, “ઈશાન કિશન ઘણો પાછળ રહી ગયો છે. તે થોડો ફેશનેબલ થઈ ગયો હતો. સંજુ સેમસને સારું પ્રદર્શન કરવું પડશે અને રિષભ પંતે પણ સારું પ્રદર્શન કરવું પડશે. ગૌતમ ગંભીર T20માં પંત પર નજર રાખી રહ્યો છે. રોહિત વનડેમાં ક્યારે આવે છે તે જોવાનું રહેશે.
ઈશાન કિશને ખુલાસો કર્યો હતો
આ મહિને ઈશાને સાઉથ આફ્રિકા સિરીઝ અધવચ્ચે જ છોડવાનું કારણ જણાવ્યું હતું. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું રન બનાવી રહ્યો હતો છતાં મને બેન્ચ પર બેસાડી દેવામાં આવ્યો હતો. આ વસ્તુઓ ટીમ સ્પોર્ટ્સમાં થાય છે, પરંતુ મેં મુસાફરીનો થાક અનુભવ્યો હતો.તેથી મેં બ્રેક લેવાનું નક્કી કર્યું. જોકે, અફસોસની વાત એ છે કે મારા પરિવાર અને થોડા નજીકના લોકો સિવાય કોઈ તેને સમજી શક્યું નહીં.