• ગૌતમ ગંભીરનું રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને મોટું નિવેદન
  • ફિટનેસ સારી રહેશે તો બંને ODI વર્લ્ડકપ 2027 સુધી રમી શકશે
  • વિરાટ કોહલી સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે આપ્યો જવાબ

ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, શ્રીલંકા જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગંભીરે રોહિત અને કોહલીના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.

જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગંભીરે કહ્યું કે આશા છે કે આ બંને ખેલાડીઓ ODI વર્લ્ડકપ 2027 સુધી સારું પ્રદર્શન કરતા રહેશે. ગંભીરે કહ્યું, "વિરાટ અને રોહિત બંને પાસે ઘણું ક્રિકેટ બાકી છે, તેઓ વર્લ્ડ ક્લાસ છે. તેઓએ બતાવ્યું છે કે તેઓ મોટા મંચ પર શું કરી શકે છે. હાલમાં અમારી નજર ચેમ્પિયન ટ્રોફી પર છે. જો ફિટનેસ સારી રહેશે તો બંને ODI વર્લ્ડકપ 2027 સુધી રમી શકશે.

રોહિત અને વિરાટે T20માંથી નિવૃત્તિ લીધી

ઉલ્લેખનીય છે કે ભારતને T20 વર્લ્ડકપ 2024 જીતાડ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. તેમના પછી રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટ છોડી દીધું હતું. T20માંથી નિવૃત્તિ લીધા બાદ જ રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે, હવે હેડ કોચે સ્પષ્ટ કર્યું છે કે જો બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તેઓ વર્લ્ડકપ 2027 સુધી રમી શકે છે.

કોહલી સાથેના સંબંધો પર ગંભીરે આપ્યો જવાબ

પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને કોહલી સાથેના તેના વણસેલા સંબંધો વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આના પર તેણે કહ્યું, "અત્યારે અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મેદાન પર અમારો ઘણો સારો સંબંધ છે. કેટલીકવાર તમને હેડલાઇન્સ જોઈએ છે, અને તે TRP માટે સારું છે." આ સાથે જ પ્રેસ કોન્ફરન્સથીએ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે યુવા બેટ્સમેન શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં તક આપવામાં આવશે.

  • Follow us on: