- વિરાટ કોહલી સિરીઝની પ્રથમ T20 મેચમાં નહીં રમે
- સંજુ સેમસન અને જીતેશ શર્માને મળી શકે છે મોકો
- કોહલી પર્સનલ કારણોના લીધે પ્રથમ મેચમાંથી બહાર રહેશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. જેને લઈને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે ફેન્સને મોટો આંચકો આપ્યો હતો. રાહુલ દ્રવિડે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સિરીઝની પ્રથમ T20 મેચમાં નહીં રમે. કોહલી પર્સનલ કારણોના લીધે પ્રથમ મેચમાંથી બહાર રહેવાનો છે. વિરાટ આટલા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે, જેના કારણે ફેન્સ ઘણા ખુશ હતા પરંતુ હવે વિરાટ કોહલી પહેલી મેચ નહીં રમે. આ સમાચારથી ફેન્સ થોડા નિરાશ દેખાઈ રહ્યા છે.
કોહલીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં કોનો મળશે મોકો?
વિરાટ કોહલીના પ્રથમ T20 મેચમાંથી બહાર થયા બાદ હવે મોટો સવાલ એ છે કે કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં ક્યા ખેલાડીને તક આપશે. રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં સંજુ સેમસન અને જીતેશ શર્માના નામ દેખાઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓને આ T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્લેઈંગ ઈલેવનમાં આમાંથી કોઈ એક ખેલાડીને જ તક મળી શકે છે.
ચાહકોએ થોડી રાહ જોવી પડશે
વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે. વિરાટ કોહલી છેલ્લે T20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સ વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે ફેન્સે થોડી વધુ રાહ જોવી પડશે. હવે વિરાટ કોહલી ટી20 સિરીઝની બીજી મેચમાં રમતા જોવા મળશે.
ઐયરને સ્થાન ના આપવા પર ખુલાસો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અફઘાનિસ્તાન સામેની મેચ માટે શ્રેયસ ઐયરને સ્થાન આપ્યું નથી. આ અંગે ઘણી અફવાઓ ચાલી રહી હતી. દ્રવિડે પણ આ અંગે બધું સ્પષ્ટ કરી દીધું છે. દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા ઘણા બેટ્સમેન પર કામ કરી રહી છે. આ જ કારણસર ઐયરને અત્યારે તક આપવામાં આવી નથી. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોહાલીમાં અફઘાનિસ્તાન સામેની T20 મેચના એક દિવસ પહેલા દ્રવિડે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
રોહિત-કોહલીનું લાબા સમય બાદ T20માં કમબેક
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યા છે. કોહલી અને રોહિત એક વર્ષથી વધુ સમયથી T20 ટીમની બહાર રહ્યા હતા. પરંતુ હવે એક તક આપવામાં આવી છે. કોહલી અને રોહિત પણ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ બની શકે છે.
પ્રથમ મેચમાં આ રીતે હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.