રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ માટે રવાના થશે, જ્યાં ભારતીય ટીમે કાંગારૂઓ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની પહેલી મેચ 22 નવેમ્બરથી પર્થના મેદાનમાં રમાશે.


આ કારણે લેવાયો મોટો નિર્ણય

ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી ભારતીય ટીમે 15 થી 17 નવેમ્બર દરમિયાન પર્થના વાકા મેદાનમાં એક ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમવાની હતી, જેમાં ટીમનો મુકાબલો રુતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા પહોંચેલી ઈન્ડિયા A ટીમ હતી. પરંતુ હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલે ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ટીમ ઈન્ડિયા સેન્ટર વિકેટ પર કરશે પ્રેક્ટિસ

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ માટે પ્રથમ પ્રેક્ટિસ મેચ માટે કોઈ સ્થાનિક ટીમની પસંદગી કરી ન હતી, પરંતુ તેને ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમવાનું નક્કી કર્યું હતું. પરંતુ હવે આ પણ રદ્દ કરી દેવામાં આવી છે. તેના બદલે ભારતીય ટીમ વાકા મેદાનની સેન્ટર વિકેટ પર પ્રેક્ટિસ કરશે જેથી તે ટેસ્ટ સિરીઝ પહેલા પોતાની જાતને વધુ સારી રીતે તૈયાર કરી શકે. આ પ્રેક્ટિસમાં ટીમ ઈન્ડિયા મેચ સિમ્યુલેશનની તાલીમ આપશે. આ પહેલા આ ઈન્ટ્રા-સ્કવોડ મેચો ભારતીય અધિકારીઓની વિનંતીને ધ્યાનમાં રાખીને બંધ દરવાજા પાછળ રમવાની હતી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત સિરીઝ જીતે તેવી આશા

ઓસ્ટ્રેલિયાના છેલ્લા 2 પ્રવાસ પર ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં ટીમે કાંગારૂ ટીમને તેના જ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવવામાં સફળતા મેળવી છે, હવે ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ટેસ્ટ સિરીઝ જીતે તેવી ફેન્સની આશા છે અને જો તે આમ કરવામાં સફળ થશે તો ચોક્કસ નવો ઈતિહાસ લખાશે. પરંતુ ભારતીય ટીમ માટે આ કામ એટલું સરળ નથી.


  • Follow us on: