- કેએલ રાહુલ ગયા વર્ષે વનડે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર તરીકે રમી રહ્યો હતો
- કેએલ રાહુલે બેટ અને વેકિટકીપિંગમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું
- પહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપરની જવાબદારી કોને સોંપવામાં આવશે
ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ 3-0થી જીતી લીધી છે અને ટીમ ઈન્ડિયા વનડે સિરીઝ માટે તૈયાર છે. 2 ઓગસ્ટ, શુક્રવારે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે પહેલી વનડે ઈન્ટરનેશનલ મેચ રમશે ત્યારે કેપ્ટન રોહિત શર્માને ઘણા સવાલોના જવાબ આપવા પડશે. સૌથી મોટો સવાલ એ છે કે રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર તરીકે પસંદ કરવો જોઈએ કે પછી કેએલ રાહુલ?
રોહિત શર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે અને હવે ફરી એકવાર ટીમની કમાન તેના હાથમાં છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂને ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે વનડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. વર્લ્ડકપ જીત્યા બાદ પોતાની પહેલી સિરીઝ રમવા જઈ રહેલા કેપ્ટન રોહિતની સામે મોટો નિર્ણય લેવાનો પડકાર છે. શ્રીલંકા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝની પહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપરની જવાબદારી કોને સોંપવામાં આવશે?
કોને મળશે તક?
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરીઝ 2જી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. રોહિત સિવાય વિરાટ કોહલી પણ આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, જ્યારે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન કે જેઓ ટી20 ટીમની બહાર હતા તે પણ પરત ફર્યા છે. આ સિવાય શુભમન ગિલ પહેલાથી જ ઓપનર તરીકે ટીમનો ભાગ છે. આ 5 એ જ ખેલાડીઓ છે જેઓ વર્લ્ડકપ 2023માં ભારતીય બેટિંગ લાઈન-અપનો ભાગ હતા અને જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ રિષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે અને તેથી વિકેટકીપરની ભૂમિકામાં કોને તક મળશે તે જોવું સૌથી મહત્વપૂર્ણ છે.
રોહિત શર્મા પંતને તક આપશે?
ભારતીય કેપ્ટન રોહિત હંમેશા રિષભ પંતને સપોર્ટ કરતો રહ્યો છે અને તેને તક આપવાનું ચૂક્યો નથી. રિષભે રોહિતની કપ્તાનીમાં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે સિરીઝમાં પણ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ડિસેમ્બર 2022 માં માર્ગ અકસ્માતને કારણે બહાર થયા પહેલા, રિષભ પંતે તેની છેલ્લી 5 વનડે ઈનિંગ્સમાં એક સદી અને અડધી સદી ફટકારી હતી. હાલમાં જ ટી20 વર્લ્ડકપમાંથી પરત ફરેલા પંતે કેટલીક ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સ રમીને પોતાની તાકાત બતાવી હતી. ત્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા બેટિંગ પ્રેક્ટિસના દૃષ્ટિકોણથી પંતને આ સિરીઝમાં તક આપવી એ તાર્કિક લાગે છે.
રાહુલને મળશે તક?
આમ છતાં પંતને પહેલી વનડેમાં તક મળવાની શક્યતા ઓછી છે અને આ રોલ કેએલ રાહુલને મળવાની નિશ્ચિત જણાય છે. તેનું કારણ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટના સાતત્યને પ્રોત્સાહન આપવાનું છે. રાહુલે વનડે વર્લ્ડકપમાં વિકેટકીપર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન તે માત્ર મિડલ ઓર્ડરમાં જ બેટિંગ કરી રહ્યો હતો. રાહુલે વર્લ્ડકપની 10 ઈનિંગ્સમાં 75ની એવરેજથી 452 રન બનાવ્યા હતા અને 17 આઉટ પણ કર્યા હતા. આવામાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની જેમ જ બેટિંગ ઓર્ડર સાથે ફિલ્ડિંગ કરતી જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. એટલે કે પંતે તેની તકની રાહ જોવી પડશે.