- શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ શકે છે ભારતીય ટીમ
- સાઈરાજ બહુતુલેને બનાવાયા અસ્થાયી રૂપે બોલિંગ કોચ
- IPLમાં RRના કોચ પણ રહી ચૂક્યા છે બહુતુલે
ભારતીય ટીમ 22 જુલાઈ, સોમવારે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ શકે છે. આ પ્રવાસમાં બોલિંગ કોચ તરીકે ટીમ ઈન્ડિયાની સાથે કોણ જશે તે એક મોટો પ્રશ્ન હતો. જેનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચને લઈને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલનું નામ મોખરે હતું, પરંતુ હવે મોર્કેલ શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય.
સાઈરાજ બહુતુલેને બનાવાયા બોલિંગ કોચ
રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સાથે સંકળાયેલા સાઈરાજ બહુતુલેને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે અસ્થાયી રૂપે નિયુક્ત કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર બહુતુલે ટૂંક સમયમાં ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળના કોચિંગ સ્ટાફમાં જોડાશે. બહુતુલે IPLમાં રાજસ્થાન રોયલ્સના કોચ પણ રહી ચૂક્યા છે.
શ્રીલંકાનો પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે
ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર ODI અને T20 સિરીઝ રમવા જઈ રહી છે. જ્યાં એક તરફ રોહિત શર્મા ODI સીરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે તો બીજી તરફ સૂર્યકુમાર યાદવ ટી20 સીરીઝમાં ટીમનો કેપ્ટન હશે. વિરાટ કોહલી પણ વનડે શ્રેણીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે.
કોચ તરીકે ગંભીરની પ્રથમ સિરીઝ
રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયા ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકા પ્રવાસ પર તેની પ્રથમ શ્રેણી રમવા જઈ રહી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા પ્રવાસ પર ODI અને T20 બંને શ્રેણી જીતીને પોતાના કાર્યકાળની શરૂઆત કરવા માંગે છે.