- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ
- રવિન્દ્ર જાડેજાએ શાનદાર 86 રનની ઈનિંગ રમી
- જાડેજાને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 10 વિકેટના નુકસાન પર 436 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં ભારત માટે રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે 80 પ્લસ રન બનાવ્યા છે, પરંતુ એક પણ ખેલાડી સદી ફટકારી શક્યો નથી. રવિન્દ્ર જાડેજાને LBW આપવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે જાડેજાને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો છે. જાડેજા સાથે અન્યાય થયો છે. જો જાડેજાને ખોટો આઉટ ન અપાયો હોત તો ખેલાડી તેની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી શક્યો હોત.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના ત્યારે બની જ્યારે જો રૂટ બોલિંગ કરવા આવ્યો હતો. રૂટની ઓવરના ત્રીજા બોલ પર રવિન્દ્ર જાડેજા સ્ટ્રાઇક પર હતો. જાડેજાએ બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ પેડ સાથે અથડાયો હતો. ખેલાડીઓએ અપીલ કરી અને અમ્પાયરે જાડેજાને આઉટ આપ્યો. જાડેજાએ સમય બગાડ્યા વિના રિવ્યું લીધું હતું.
જ્યારે થર્ડ અમ્પાયરે જોયું તો એવું લાગ્યું કે બોલ બેટની કિનારીને સ્પર્શીને ગયો છે. બોલ બેટ અને પેડને એકસાથે સ્પર્શતો જોવા મળ્યો હતો, થર્ડ અમ્પાયરે અલગ-અલગ એંગલથી જોયું, પરંતુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બોલ બેટને અડ્યો કે નહીં. એવું લાગતું હતું કે જાડેજાને નોટઆઉટ આપવામાં આવશે, પરંતુ ત્રીજા અમ્પાયરે કહ્યું કે બોલ જાડેજાના બેટને સ્પર્શ્યો નથી.
અમ્પાયરે બોલ ટ્રેકિંગના આધારે લીધો નિર્ણય
આ પછી, અમ્પાયરે બોલ ટ્રેકિંગમાં જોયું કે બોલ વિકેટ સાથે અથડાઈ રહ્યો છે અને જાડેજાને આઉટ આપવામાં આવ્યો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જો બોલ બેટ અને પેડને એકસાથે સ્પર્શતો જોવા મળે તો ખેલાડીને નોટઆઉટ આપવામાં આવે છે, પરંતુ અહીં ત્રીજા અમ્પાયરે જાડેજાને આઉટ આપ્યો હતો. આના પર ફેન્સ પણ ખૂબ ગુસ્સે છે, ચાહકોનું માનવું છે કે જાડેજાને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો છે.