- ભારત-વિન્ડીઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી
- સીરિઝની છેલ્લી બે T20 મેચ ફ્લોરિડામાં યોજાવાની છે
- ભારત-વિન્ડીઝના ઘણા સભ્યોને અમેરિકાના વિઝા મળ્યા નથી
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં વિન્ડીઝ સામે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. ખાસ વાત એ છે કે આ સીરિઝની છેલ્લી બે મેચ અમેરિકામાં રમાવાની છે, જેને લઈને હવે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. વિઝાની સમસ્યાને કારણે હવે કેરેબિયન ક્રિકેટ બોર્ડ અંતિમ એ બે મેચોને વિન્ડીઝમાં જ યોજવાનું વિચારી રહ્યું છે.
ખેલાડીઓના US વિઝામાં વિલંબ
બંને ટીમોને યુએસ વિઝા મળ્યા નથી, જેના કારણે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે વૈકલ્પિક યોજના બનાવવી પડી છે. આ બંને મેચ 6 અને 7 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડામાં યોજાવાની છે, પરંતુ અહેવાલો અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના ઘણા સભ્યોને અમેરિકાના વિઝા મળ્યા નથી.

મામલો ઉકેલવાનો પ્રયાસ ચાલુ
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “વિઝા સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં પણ યોજાઈ શકે છે. પ્રારંભિક માહિતી એવી છે કે વિઝા સેન્ટ કિટ્સમાં આપવામાં આવશે જ્યાં ટીમો પહોંચી છે. એવી સંભાવના છે કે ખેલાડીઓએ પ્રવાસ દસ્તાવેજો માટે ત્રિનિદાદ પાછા જવું પડશે જ્યાંથી જો ક્લિયર થઈ જશે તો તેઓ યુએસ જશે.
આજે બીજી T20 મેચ
બીજી તરફ, ભારત અને વિન્ડીઝ વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ આજે (1 ઓગસ્ટ) વોર્નર પાર્ક, સેન્ટ કિટ્સ અને નેવિસમાં રમાશે. પ્રથમ મેચમાં ભારતે યજમાન ટીમને 68 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં હવે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ લેવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ નિકોલસ પૂરનની કપ્તાનીવાળી વિન્ડીઝની ટીમ શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

વિન્ડીઝ સામે T20 માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યાદવ, આવેશ ખાન, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ.