• ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે
  • ઝિમ્બાબ્વે સામે ભારત 5 T20I મેચ રમશે
  • આ મેચમાં શુભમન ગિલે રચ્યો ઈતિહાસ

શુભમન ગિલને T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની ટીમમાં જગ્યા મળી નથી. તેને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે આ પહેલા ક્યારેય ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી નથી. હવે તે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં ટોસ કરતાંની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. શુભમને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

T20Iમાં 13 ખેલાડીઓએ ભારતનું નેતૃત્વ કર્યું

અત્યાર સુધીમાં કુલ 13 ખેલાડીઓએ T20I ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટીમના પહેલા કેપ્ટન હતા. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2007નો ખિતાબ પણ જીત્યો હતો. તે સૌથી વધુ T20I મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરનાર ખેલાડી પણ છે. તેણે 72 T20I મેચોમાં કેપ્ટનશિપ કરી છે.

રોહિત શર્માએ સૌથી વધુ મેચ જીતી

તાજેતરમાં, ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો છે. રોહિત એવો કેપ્ટન છે જેણે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20I મેચ જીતી છે. તેમની કપ્તાની હેઠળ ભારતીય ટીમે કુલ 50 T20I મેચ જીતી છે. જ્યારે ટીમ માત્ર 12 જ હારી છે.

શુભમન ગિલ T20Iમાં સુકાની કરનાર ભારતનો 14મા કેપ્ટન બની ગયો છે. તેની પાસે ભારતીય ટીમને નવી ઉંચાઈ પર લઈ જવાની જવાબદારી હશે. ભારત હાલમાં T20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન છે. ગિલ અગાઉ IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. પરંતુ તેની કપ્તાનીમાં ગુજરાતની ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી અને 8મા નંબરે રહી હતી.

T20Iમાં ભારતની કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓ:

  1. વિરેન્દ્ર સેહવાગ
  2. મહેન્દ્ર સિંહ ધોની
  3. સુરેશ રૈના
  4. અજિંક્ય રહાણે
  5. વિરાટ કોહલી
  6. રોહિત શર્મા
  7. શિખર ધવન
  8. રિષભ પંત
  9. હાર્દિક પંડ્યા
  10. કેએલ રાહુલ
  11. જસપ્રીત બુમરાહ
  12. રૂતુરાજ ગાયકવાડ
  13. સૂર્યકુમાર યાદવ
  14. શુભમન ગિલ

  • Follow us on: