- ગુજરાતને મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું
- છેલ્લા 12 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ મેચ હારી
- મેચ બાદ જય શાહ ઈશાન કિશાનને મળ્યા
રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 12 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPLમાં પોતાની પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચ જીતવાની ઘણી નજીક હતી. પરંતુ છેલ્લી કેટલીક ઓવરોમાં ગુજરાતે જોરદાર વાપસી કરીને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી મેચ છીનવી લીધી હતી.
હાર બાદ પંડ્યાનું નિવેદન
જો કે, મુંબઈ અને ગુજરાત બંને માટે આ IPL 2024ની માત્ર પ્રથમ મેચ હતી. IPL 2024માં બંને ટીમો આગામી દિવસોમાં ઘણી વધુ મેચો રમવાની છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાર બાદ કહ્યું કે તે આ હારથી વધારે નિરાશ નથી. તે જાણે છે કે આ ટુર્નામેન્ટ ઘણી લાંબી છે અને તે આવનારી મેચોમાં તેની ભરપાઈ કરી શકે છે.
જય શાહ ઈશાનને મળ્યા
બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ બાદ મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન સાથે મુલાકાત કરી હતી. થોડા સમય માટે ઈશાન કિશન અને જય શાહ વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન જય શાહ હસતા હસતા ઈશાન કિશનના ખભા પર હાથ મૂકીને તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાકટની બહાર
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બીસીસીઆઈએ કડક કાર્યવાહી કરીને ઈશાન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધા હતા. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમના કોઈપણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી. વાસ્તવમાં, BCCIએ તમામ ખેલાડીઓને ઘરેલુ ટૂર્નામેન્ટ રમવા માટે કહ્યું છે. ઈશાન કિશન અને શ્રેયસ ઐયર છેલ્લા કેટલાક સમયથી સતત ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા ન હતા. જે બાદ BCCIએ કડક કાર્યવાહી કરીને બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધા હતા.
બંને વચ્ચે શું થઈ હશે વાતચીત
જો કે, મીડિયામાં એવા ઘણા અહેવાલો છે કે આગામી દિવસોમાં શ્રેયસ અને કિશનને ફરીથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને ઈશાન કિશન વચ્ચેની વાતચીત અમે તમને જણાવી શકતા નથી. પરંતુ એવી શક્યતા છે કે જય શાહે ઇશાન કિશનને IPLમાં વધુ સારું પ્રદર્શન કરવા કહ્યું હશે.