• ઈશાન કિશને ફરી એકવાર રણજી મેચમાં ભાગ ન લીધો
  • ઈશાન કિશને BCCIના નિર્દેશોની અવગણના કરી
  • ઈશાને માનસિક થાકના કારણે ટીમમાંથી બ્રેક લીધો હતો

ઈશાન કિશને ફરી એકવાર ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ટાળ્યું છે. તે આજથી શરૂ થયેલી ઝારખંડ વિ. રાજસ્થાન રણજી મેચમાં તેની રાજ્યની ટીમ માટે મેદાનમાં ઉતર્યો ન હતો. એવું માનવામાં આવતું હતું કે BCCIના નિર્દેશોને અનુસરીને, આ વખતે તે ઝારખંડની પ્લેઈંગ-11નો ભાગ બનશે પરંતુ તેણે ફરી એકવાર આ સૂચનાઓની અવગણના કરી. ઈશાન કિશનના આ વલણ પર BCCI શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

ઈશાન ટીમમાંથી બહાર

ઈશાન કિશનનું આ વલણ બળવા જેવું ગણી શકાય. વાસ્તવમાં, ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇશાને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારે BCCIએ કહ્યું હતું કે ઈશાને અંગત કારણોસર આ બ્રેક લીધો છે. જોકે, બાદમાં એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ઈશાન માનસિક થાકને કારણે ટીમમાંથી ખસી ગયો હતો. આ થાકનું કારણ એવું કહેવાય છે કે ઈશાન લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે હતો પરંતુ તેને પ્લેઈંગ-11માં ત્યારે જ તક આપવામાં આવી રહી હતી જ્યારે કોઈ મુખ્ય ખેલાડી ઈજાગ્રસ્ત થયો હોય અથવા તે ઉપલબ્ધ ન હોય.

ઈશાનને રણજી રમવાની સલાહ

આ પછી, એક અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે જ્યારે માનસિક થાકનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લેનાર ઈશાન કિશન વિદેશમાં રજાઓ માણી રહ્યો હતો, ત્યારે BCCI તેના વલણથી નારાજ હતું. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે BCCIએ ઈશાનને રણજી ક્રિકેટ રમીને તેનું ફોર્મ પરત મેળવવાની સલાહ આપી હતી. જોકે, ઈશાને BCCIની આ સલાહ માની નહીં અને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી તેણે એક પણ રણજી મેચ રમી નથી. ઊલટું, તેણે વ્યક્તિગત પ્રેક્ટીસ કરવાનું યોગ્ય માન્યું. હાલમાં જ તે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે ઈશાન ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા રન બનાવશે ત્યારે જ તેની ટીમ ઈન્ડિયામાં વાપસીના દરવાજા ખુલશે.

અફઘાનસિરીઝમાંથી પણ બહાર થવું પડ્યું

ઈશાન કિશનના આ વલણને કારણે તેને અફઘાનિસ્તાન સામેની t-20 સિરીઝમાં પણ તક મળી ન હતી. ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં પણ પસંદગીકારોએ તેના સ્થાને ધ્રુવ જુરેલને તક આપી હતી. હવે જોવાનું એ રહેશે કે ઈશાનના બળવાખોર વલણ પર BCCI શું જવાબ આપે છે.

  • Follow us on: