- કપિલ દેવે ખેલાડીઓ પર ઉઠાવ્યા સવાલ
- બુમરાને શું થયું તે કપિલને નથી ખ્યાલ
- IPLને ગણાવ્યો ખરાબ
ભારતને 1983માં પ્રથમ ICC વર્લ્ડકપનો ખિતાબ અપાવનારા પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવ પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં આવતા હોય છે. કપિલ દેવ હંમેશા ખેલાડીઓ પર ગંભીર સવાલ ઉભા કરે છે, ત્યારે હવે તેમણે ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે પૂછ્યું કે, બુમરાહને થયું શું છે?
બુમરાહ પર સવાલ ઉઠાવ્યા
કપિલ દેવે બુમરાહ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જો વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને બુમરાહનો લાભ નહીં મળે, તો બુમરાહ પર સમય બગાડ્યો કહેવાશે. વધુમાં તેમણે પૂછ્યું કે, બુમરાહને થયું શું છે? બુમરાહે આટલા વિશ્વાસ સાથે કામ કરવું શરૂ કર્યું, પરંતુ જો તે વર્લ્ડકપમાં નહીં હોય, તો સમયનો વેડફાટ થયો કહેવાશે.
IPL પર આપ્યું મોટું નિવેદન
કપિલ દેવે ખેલાડીઓની ઈજા અને IPLને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'ભગવાન દયાળુ છે, અમને પણ ઈજા થતી હતી. અત્યારના ખેલાડીઓ વર્ષમાં 10 મહિના રમે છે, પરંતુ ખેલાડીઓએ રમવા સાથે પોતાની ઈજા પર પણ ધ્યાન આપવું જોઈએ. IPL મહાન ચીજ છે, પરંતુ IPL તમને ખરાબ પણ કરી શકે છે. કારણ કે, નાની-મોટી ઈજા સાથે તમે IPL રમી શકો છો, પરંતુ નાની-મોટી ઈજા સાથે ભારત માટે નથી રમતા. આ સમય તમે ટીમમાંથી બ્રેક લઈ લો છો.
કપિલે ક્રિકેટ બોર્ડને પણ ન છોડ્યું
કપિલ દેવે ભારતીય ખેલાડીઓના ખરાબ વર્કલોડ મેનેજમેન્ટને લઈને બોર્ડને પણ છોડ્યું નથી. તેમણે કહ્યું કે, "જો તમને નાની ઈજા છે, તો તમે IPL રમશો, જો કોઈ મહત્વપૂર્ણ રમત હશે તો નહીં રમો. આ તબક્કે ક્રિકેટ બોર્ડે સમજવું પડશે કે તેઓએ કેટલું ક્રિકેટ રમવું જોઈએ. આ મુખ્ય વસ્તુ છે. જો આજે તમારી પાસે સંસાધનો છે, રૂપિયા છે, પરંતુ તમારી પાસે ત્રણ-પાંચ વર્ષનું કેલેન્ડર નથી. આ ક્રિકેટ બોર્ડમાં કંઈક ખોટું છે."