બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ માટે કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા રાહુલ ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. જોકે રાહુલે ઈંગ્લેન્ડ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી હતી. રાહુલ સિરીઝની બાકીની ચાર મેચોમાંથી ગાયબ જોવા મળ્યો હતો, એવું લાગી રહ્યું હતું કે જાણે તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોય. હવે BCCIએ ખુલાસો કર્યો છે કે રાહુલને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી.


આ કારણે કેએલ રાહુલને કરાયો હતો બહાર

BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે રાહુલને પડતો મૂકવામાં આવ્યો નથી, પરંતુ ઈજાના કારણે તે બહાર છે. હવે તે ફિટ અને ઉપલબ્ધ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારી હતી, જે તાજેતરના સમયમાં શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સમાંની એક છે અને તેણે ઇજા પહેલા હૈદરાબાદમાં તેની છેલ્લી ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. તેને પડતો મૂકવામાં આવ્યો ન હતો, પરંતુ તે ઇજાગ્રસ્ત થયો હતો. હવે તે ફિટ અને અવેલેબલ છે, તે ફરી રમવાનું શરૂ કરશે."

દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન

આ દિવસોમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફીમાં કેએલ રાહુલનું બેટ ફરતું જોવા મળ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારત A તરફથી રમતા તેણે બંને દાવમાં 37 અને 57 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો.

આવી રહી રાહુલની ટેસ્ટ કારકિર્દી

ઉલ્લેખનીય છે કે રાહુલે 2014માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 50 ટેસ્ટ રમી છે. આ મેચોની 86 ઇનિંગ્સમાં તેણે 34.08ની એવરેજથી 2863 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 199 રન છે.


  • Follow us on: