રોહિત શર્માનું ખરાબ ફોર્મ પીછો છોડવાનો નામ જ નથી લઈ રહ્યું. બેંગલુરુ અને પુણેમાં ફ્લોપ થયા બાદ ભારતીય કેપ્ટન પોતાના હોમ ગ્રાઉન્ડ પર પણ બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. હિટમેનની શાનદાર બેટિંગ જોવા માટે વાનખેડે આવેલા ફેન્સને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. રોહિતને એક જીવનદાન પણ મળ્યું હતું, પરંતુ તે તેનો લાભ ઉઠાવી શક્યો ન હતો.
હિટમેનનો ફ્લોપ શો
પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડને 235 રનમાં આઉટ કર્યા બાદ કેપ્ટન રોહિત યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં આવ્યો હતો. રોહિતે પણ વાનખેડે મેદાન પર જોરદાર શરૂઆત કરી અને ત્રણ જોરદાર ફોર ફટકાર્યા. બધાને લાગ્યું કે ભારતીય કેપ્ટન આજે બેટથી પ્રભાવિત કરવાના સંપૂર્ણ મૂડમાં છે. જો કે, ઇનિંગની સાતમી ઓવરમાં રોહિતે બધાને નિરાશ કર્યા અને પેવેલિયન પરત ફર્યો. હિટમેન મેટ હેનરીના હાથમાંથી નીકળતા બોલના ઉછાળાને સમજી શક્યો નહીં રોહિત 18 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
રોહિત જીવન દાનનો લાભ ઉઠાવી શક્યો ન હતો
રોહિત શર્માને પણ 15 રનના સ્કોર પર જીવનદાન પણ મળ્યું હતું. પરંતુ તે તેનો ફાયદો પણ ઉઠાવી શક્યો નહોતો. ઈનિંગની પાંચમી ઓવરમાં રોહિતે મેટ હેનરીના બોલ પર પુલ શોટ રમ્યો, પરંતુ તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં. રોહિતનો શોટ સીધો બાઉન્ડ્રી લાઇન પર વિલિયમ ઓ'રર્કેના હાથમાં ગયો હતો, પરંતુ કિવી ફિલ્ડર ભાગવાને કારણે કેચ પકડી શક્યો ન હતો અને તેણે આસાન કેચ છોડી દીધો હતો. જો કે, રોહિત માત્ર ત્રણ રન ઉમેર્યા બાદ આઉટ થયો હતો.
છેલ્લી 8 ઇનિંગ્સમાં હિટમેનના બેટથી માત્ર 104 રન જ બન્યા
રોહિત શર્મા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલી છેલ્લી 8 ઇનિંગ્સમાં હિટમેનના બેટથી માત્ર 104 રન જ બન્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય કેપ્ટન માત્ર એક જ વાર પચાસનો આંકડો પાર કરી શક્યો છે. ન્યુઝીલેન્ડ સામે પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની બન્ને ઇનિંગ્સમાં રોહિત માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.