- એશિયા કપ 2023ના ફાઈનલમાં ભારતની જીત
- ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું
- ભારતીય ટીમ 8મી વખત બની ચેમ્પિયન
એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે 5 વર્ષ બાદ 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની વિજેતા ટીમ તરીકે ટીમ ઈન્ડિયાને ઈનામમાં મોટી રકમ પણ મળી છે. ભારતીય ટીમને આ જીત માટે તરીકે 1 લાખ 50 હજાર US ડૉલર મળ્યા છે.
શ્રીલંકાને પણ મળ્યું ઈનામ
ભારતની સાથે શ્રીલંકાને પણ રનરઅપ તરીકે ઈનામ આપવામાં આવ્યું છે. શ્રીલંકાને રનરઅપ તરીકે 75 હજાર US ડૉલર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા એશિયા કપના ફાઈનલમાં 8મી વખત આમને સામને આવ્યા હતા. જેમાંથી ભારતે 5 વખત, જ્યારે શ્રીલંકાએ 3 વખત ખિતાબ જીત્યો છે.
સિરાઝનું મેચ વિનિંગ પરફોર્મન્સ
ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાઝે બોલ સાથે મેચ વિનિંગ પરફોર્મન્સ આપીને ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાઝે આ મેચમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની ટીમને માત્ર 50 રનના સ્કોર સુધી રોકવામાં મહત્વની જવાબદારી નિભાવી હતી. શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશને આ ટાર્ગેટ માત્ર 6.1 ઓવરમાં પ્રાપ્ત કર્યો હતો.
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ કુલદીપને મળ્યો
એશિયા કપ 2023માં ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. કુલદીપ યાદવે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 5 વિકેટ અને શ્રીલંકા વિરુદ્ધ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. જેને લઈ કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ખિતાબ સાથે કુલદીપને 15 હજાર US ડૉલર આપવામાં આવ્યા છે. સાથે સિરાઝને ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જેમાં એવોર્ડ સાથે 5 હજાર US ડૉલરની રકમ મળી હતી. જે સિરાઝે ગ્રાઉન્ડ્સ મેનને આપવાની જાહેરાત કરી છે.