• હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે બહાર
  • અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં હાર્દિકનું રમવું મુશ્કેલ
  • હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં થયો હતો ઈજાગ્રસ્ત

હાર્દિક પંડ્યા આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિક પંડ્યાને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે. IPL પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે, જેમાં હાર્દિક પંડ્યાનું બહાર થવું લગભગ નિશ્ચિત છે. હવે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક 2024 પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ શકે છે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે હાર્દિક પંડ્યાની ઈજા ગંભીર છે અને તે આખી આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક IPLમાંથી બહાર થઈ જાય છે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો હશે, કારણ કે મુંબઈએ પહેલા તેની સાથે રોકડ સોદામાં ટ્રેડ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો હતો. જોકે, બીસીસીઆઈ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી હાર્દિક પંડ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત

હાર્દિક તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં હાર્દિકને એડીમાં ઈજા થઈ હતી, જે બાદ તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા IPLમાં વાપસી કરી શકશે કે નહીં.

હાર્દિકની IPL કારકિર્દી

નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 123 IPL મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 સદી ફટકારી છે. આ સિવાય તેણે બોલિંગમાં 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે.


  • Follow us on: