• ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું
  • ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 રનથી જીતી લીધી હતી
  • પાકિસ્તાનની હાર બાદ નસીમ શાહ ભાવુક થયો

ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો એક સ્ટાર ખેલાડી ભાવુક થઈ ગયો હતો.

નસીમ શાહ ભાવુક થયો

ભારત સામેની મેચમાં પાકિસ્તાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહે સંભાળી હતી. તેણે પહેલા જ બોલ પર ઈમાદ વસીમને આઉટ કર્યો હતો. આ પછી પાકિસ્તાની ટીમને છેલ્લા પાંચ બોલમાં 18 રન બનાવવા પડ્યા હતા. ત્યારે નસીમ શાહ અર્શદીપની સામ-સામે હતા. પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો. મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાં આંસુ હતા. તેના ચહેરા પર નિરાશાની લાગણી સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. આ પછી શાહીન આફ્રિદીએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને મેદાનની બહાર લઈ ગયો. જ્યારે સપોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને આશ્વસન આપતા હતા. નસીમ શાહનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલરોએ રંગ રાખ્યો

રિષભ પંત સિવાય કોઈ પણ ખેલાડી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ટીમ માટે 42 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. આ પછી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાની બેટ્સમેનોને મોટા શોટ રમવા દીધા ન હતા. આ મેચમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

120 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો

ભારતે પાકિસ્તાન સામે આપેલા 120 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રથમ વખત આટલા ઓછા રનના લક્ષ્યનો બચાવ કર્યો છે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે. પાકિસ્તાની ટીમ માત્ર એકમાં જ વિજય નોંધાવવામાં સફળ રહી છે.

  • Follow us on: