- બાબર આઝમની કેપ્ટનશીપને લઈને ક્રિકેટ જગતમાં હલચલ
- PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ એક બેઠક બોલાવી
- બાબરની કપ્તાનીને લઇ મોહસિન નકવીનું મોટું નિવેદન
તાજેતરમાં બાબર આઝમની કેપ્ટનશીપને લઈને પાકિસ્તાન ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવીએ તાજેતરમાં લાહોરમાં આ સંબંધમાં એક બેઠક બોલાવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કપ્તાની બાબર આઝમના હાથમાં છે અને ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદ છે. ખાસ કરીને T20 વર્લ્ડકપ 2024ના સુપર-8માં ન પહોંચવાના કારણે બાબરની કેપ્ટનશિપ પર પ્રશ્નાર્થ ચિન્હ છે. આ મામલે મોહસિન નકવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
15 પૂર્વ ક્રિકેટરો સાથે કરી ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહસિન નકવીએ આગામી T20 વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને 15 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી. આ 15 ક્રિકેટરોમાં સલમાન બટ્ટ, ઇજાઝ અહેમદ, સરફરાઝ અહેમદ, બાસિત અલી, ઇંતિખાબ આલમ, અસીમ કમાલ જેવા મોટા નામ સામેલ હતા. આ બેઠકમાં ટીમ કોમ્બિનેશન કેવું હોવું જોઈએ અને પસંદગી પ્રક્રિયા કેવી હોવી જોઈએ તેના પર ચર્ચા થઈ હતી. આ સિવાય ઓપનિંગ કોમ્બિનેશન અને મિડલ ઓર્ડરમાં કોઈ ભરોસાપાત્ર બેટ્સમેન ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
મોહસીન નકવીનું નિવેદન
જ્યારે એક પત્રકારે પીસીબી અધ્યક્ષને બાબર આઝમની કેપ્ટનશીપ અંગે સવાલ પૂછ્યો તો મોહસીન નકવીએ કહ્યું- આ વિષય પર હજુ સ્પષ્ટ રીતે ચર્ચા થઈ નથી. નકવીએ નિશ્ચિતપણે જણાવ્યું કે ભૂતપૂર્વ ક્રિકેટરો સાથેની બેઠકમાં ટીમની રચના અને તેને મૂળભૂત રીતે સુધારવાની વ્યૂહરચના પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલમાં, બાબર આઝમની કેપ્ટનશીપનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે તેની કેપ્ટન્સી હાલમાં સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે બાબરે T20 વર્લ્ડકપની 4 મેચમાં માત્ર 101.67ના સ્ટ્રાઈક રેટથી 122 રન બનાવ્યા હતા.
પસંદગી સમિતિ પર ઉઠ્યા હતા પ્રશ્નો
15 ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે વર્તમાન પસંદગીકારોની ટીમ પર નકારાત્મક અસર પડી રહી છે. કેપ્ટનશીપમાં સતત ફેરફારને પણ ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ જણાવવામાં આવ્યું હતું. મીટિંગ બાદ મોહસીન નકવીએ કહ્યું કે ભવિષ્યમાં ટીમને મૂળભૂત રીતે સુધારવાના પ્રયાસો કરવામાં આવશે.