T20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં ખુલાસો કર્યો હતો કે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે વર્લ્ડકપ ફાઇનલમાં જાણી જોઈને બ્રેક લીધો હતો. રોહિતે કહ્યું કે પંતના આ પગલાને કારણે તેની ટીમને મેચનું પરિણામ બદલવામાં મદદ મળી હતી. હવે આ ઘટના પર પંતનું પોતાનું નિવેદન સામે આવ્યું છે. તેણે એ પણ જણાવ્યું છે કે તેણે અચાનક આવું કરવાનું કેમ વિચાર્યું.
પંતે કહ્યું, 'હું આ વિશે પહેલેથી જ વિચારી રહ્યો હતો, કારણ કે એકદમ મોમેન્ટસ વિપક્ષી ટીમ તરફી થઈ ગઈ હતી. તેથી હું વિચારતો હતો કે આ ક્ષણ ફરી ક્યારે આવશે જ્યારે તમે વર્લ્ડકપ ફાઇનલમાં રમશો. એટલા માટે હું ફિઝિયોને કહી રહ્યો હતો કે તમારો સમય લો અને સમય બગાડો. જ્યારે પંતે બ્રેક લીધો ત્યારે સાઉથ આફ્રિકાની ટીમને 24 બોલમાં 26 રનની જરૂર હતી.
ક્યારેક તે કામ કરે છે - પંત
વાયરલ વીડિયોમાં રિષભ પંતે કહ્યું, 'તે મને પૂછી રહ્યો હતો કે શું હું ઠીક છું. મેં તેને કહ્યું કે હું માત્ર એકટિંગ કરું છું. હું એમ નથી કહેતો કે તે આવી મેચની પરિસ્થિતિઓમાં દર વખતે કામ કરે છે, પરંતુ ક્યારેક તે કામ કરે છે. અને જો તે આ રીતે એક ક્ષણમાં કામ કરે છે તો તમારે બીજા કંઈપણની જરૂર નથી.'
પંતના આ પગલાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો
પંતની આ વ્યૂહરચના મેચની વચ્ચે કામ કરી ગઈ. આ બ્રેકના કારણે સાઉથ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસેનની લય તૂટી ગઈ હતી અને તે હાર્દિક પંડ્યાના બોલ પર આઉટ થયો હતો. આ પછી, પ્રોટીઝ ટીમની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી અને અંતે ટીમ લક્ષ્યથી સાત રન દૂર રહી હતી. વિરાટ કોહલીને મુશ્કેલ સમયમાં 76 રનની ઇનિંગ રમવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.