- હાલમાં કરાવાયેલી સર્જરી સ્પોર્ટ્સ હર્નિયા માટે હતી
- ટૂંક સમયમાં ક્રિકેટમાં પાછા ફરવાનો સંકેત આપ્યો
- સૂર્યકુમારે હકીકત જણાવી અટકળોને આપ્યો વિરામ
33 વર્ષીય સૂર્યકુમાર યાદવ ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત થયા બાદ રમતમાંથી બહાર છે. સૂર્યકુમાર યાદવ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરીને પુનરાગમન કરે તેવી શક્યતા છે. તે જાન્યુઆરીમાં સર્જરી માટે મ્યુનિક, જર્મની ગયો હતો. તેની તાજેતરની સર્જરી અંગેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સૂર્યકુમાર યાદવે સ્પષ્ટતા કરી છે કે તેની સર્જરી સ્પોર્ટ્સ હર્નિયા માટે હતી અને ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પગની ઘૂંટીમાં થયેલી ઈજા માટે નહીં.
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે
સૂર્યકુમાર યાદવે તેની સર્જરીની તમામ મૂંઝવણને વિરામ આપ્યો છે અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં સૂર્યકુમાર યાદવે મળેલા સમર્થન અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સૂર્યકુમાર યાદવે ચાહકોને ખાતરી આપી હતી કે તેનો સ્વસ્થ થવાનો માર્ગ સારી રીતે આગળ વધી રહ્યો છે, અને ટૂંક સમયમાં ક્રિકેટમાં પાછા ફરવાનો સંકેત આપ્યો.
સૂર્યકુમારે ફિટનેસ પર એક મોટું અપડેટ આપ્યું
સૂર્યકુમાર યાદવે કહ્યું, 'તમામને નમસ્કાર, શુભ સવાર. આશા છે કે તમે બધા સારું કરી રહ્યા છો. મને લાગે છે કે, થોડી મૂંઝવણ છે. જેઓ નથી જાણતા, હું તેમને કહી દઉં કે થોડા અઠવાડિયા પહેલા મારા પગની ઘૂંટીનું નહીં પરંતુ સ્પોર્ટ્સ હર્નીયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રિકવરીની પ્રોસેસ ખરેખર સારી રીતે ચાલી રહી છે. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર, ટૂંક સમયમાં મળીશું.
સર્જરી વિશે થોડી મૂંઝવણ હતી
તેણે દક્ષિણ આફ્રિકામાં તેના પગની ઘૂંટીમાં ઇજા પહોંચાડી હતી, તેથી તેની સર્જરી વિશે થોડી મૂંઝવણ હતી, કારણ કે કેટલાક લોકો માનતા હતા કે તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી છે. અગાઉ, જાન્યુઆરીમાં તેમની સર્જરી પછી, સૂર્યકુમારે એક તસવીર શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે હું ખૂબ જ જલ્દી પાછો આવીશ.
આતુરતાથી પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ
મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સ્ટાર, જે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનમાં પુનરાગમન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, તે પગની ઘૂંટીની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. જો કે, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં તેણે ભારતની કેપ્ટનશીપ કરી ત્યારે તેની નેતૃત્વ ક્ષમતાઓ ચમકી. સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ગકેબરહા ખાતે 36 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ અને જોહાનિસબર્ગ ખાતે 56 બોલમાં શાનદાર સદી સામેલ હતી.