- T20 વર્લ્ડકપ 2024ની આજે 8મી મેચ
- આયર્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે મેચ
- કપ્તાન રોહિત શર્મા રચી શકે છે ઈતિહાસ
ICC T20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમ આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ફરી એકવાર વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરશે અને ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. જો ટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામેની આ મેચ જીતશે તો ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ જશે. આવું કરનાર રોહિત પ્રથમ ભારતીય ખેલાડી બનશે.
આ રેકોર્ડ રોહિતના નામે નોંધાશે
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જ્યારથી ટીમની કમાન સંભાળી છે ત્યારથી ટીમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરી છે. રોહિતની કપ્તાનીમાં ટીમ વનડે ક્રિકેટમાં પ્રથમ સ્થાને યથાવત છે. જો ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા બીજા સ્થાન પર છે. T20માં પણ ભારતીય ટીમ પ્રથમ સ્થાને છે. આ દરમિયાન રોહિત શર્મા વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની ઉંબરે ઉભો છે. જો ટીમ ઈન્ડિયા આજે રોહિતની કપ્તાનીમાં આયર્લેન્ડ સામેની મેચ જીતી જશે તો રોહિત શર્મા T20માં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવનાર ભારતીય કેપ્ટન બની જશે. રોહિત શર્મા આ મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.
રોહિત ધોનીને પાછળ છોડીને આગળ વધશે
ભલે રોહિત તેની કપ્તાની હેઠળ ટીમ માટે કોઈ મોટો ખિતાબ જીતી શક્યો ન હોય, પરંતુ ટીમે તેની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધીમાં સૌથી વધુ જીત નોંધાવી છે. રોહિત આજની મેચમાં જીત સાથે ધોનીને પાછળ છોડી દેશે. રોહિતે અત્યાર સુધી કુલ 54 T20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 41 મેચ જીતી છે. ધોનીએ 72 T20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 41 મેચ જીતી છે. જો ભારત આજની મેચ જીતી જાય છે, તો રોહિત તેની કેપ્ટનશિપ હેઠળ 42મી જીત સાથે સૌથી વધુ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની જશે.