- હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત
- તમામ બંધકોને ગાઝાની બહાર મોકલવામાં આવ્યા
- હમાસ દ્વારા મુક્ત કરાયેલા 13 ઇઝરાયેલી બંધકોને ઇજિપ્ત જશે
છેલ્લા એક મહિનાથી વધુ સમય થવા છતા હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત છે. હમાસે ઈઝરાયેલના 13 અને થાઈલેન્ડના 12 બંધકોને મુક્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બંધકોને ગાઝાની બહાર મોકલવામાં આવી રહ્યા છે, અહીંથી તેઓ ઇજિપ્ત જશે અને ત્યાં તેમને ઇઝરાયલને સોંપવામાં આવશે. જો કે રાફા સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તે હજુ સ્પષ્ટ નથી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે બંધકોને મુક્ત કરવામાં આવશે. આ માટે ચાર દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હમાસ 50 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરશે અને ઈઝરાયલે 150 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા પડશે. આ ડીલ હેઠળ શુક્રવારે હમાસે 13 ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા હતા. હવે ઇઝરાયલે તેના દરેક બંધકોના બદલામાં 3 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા પડશે. આ સિવાય હમાસે થાઈલેન્ડના 12 બંધકોને પણ મુક્ત કર્યા છે. ખુદ થાઈલેન્ડના વડાપ્રધાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમને લેવા માટે થાઈલેન્ડ એમ્બેસીના અધિકારીઓની ટીમ પણ આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હમાસ દ્વારા બંધાયેલા થાઈ બંધકોની મુક્તિ યુદ્ધવિરામનો ભાગ નથી.













