22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ સાથે ભારતે પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે તે ફરીથી દેખાવા લાગ્યા છે, જે દર્શાવે છે કે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી પ્રતિબંધ હટાવવા અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
બુધવારે ઘણા પાકિસ્તાની ફિલ્મ અને ટીવી સેલેબ્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરી દેખાવા લાગ્યા. જેમાં સબા કમર, માવરા હોકેન, અહદ રઝા મીર, હાનિયા આમીર, યમુના જૈદી અને દાનિશ તૈમુરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામેલ છે. આ તમામ એકાઉન્ટ્સને પહલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા.
આ સિવાય Hum TV, ARY Digital અને Har Pal Geo જેવી પાકિસ્તાની ન્યુઝ અને એન્ટરટેઈનમેન્ટ ચેનલોના યુટ્યૂબ પ્લેટફોર્મ પણ ભારતમાં ફરીથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.
16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં Dawn News, Samaa TV, ARY News અને Geo News જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. આ ચેનલો પર ભારત વિરોધી પ્રચાર, ખોટી માહિતી અને સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ચેનલોએ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી અને ભ્રામક સ્ટોરી ફેલાવીને વાતાવરણને ઝેરી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રતિબંધિત ચેનલોના ભારતમાં 63 મિલિયન દર્શકો હતા.