• પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા વચ્ચે ગૃહમંત્રી આકરાપાણીએ
  • પાકિસ્તાન છોડો બાકી બળજબરીથી દેશની બહાર ફેંકી દેવામાં આવશે
  • પાકિસ્તાનમાં લગભગ 44 લાખ અફઘાન શરણાર્થીઓ રહે છે

પાકિસ્તાનમાં વધી રહેલા આત્મઘાતી હુમલા વચ્ચે ગૃહમંત્રી સરફરાઝ બુગતીએ અફઘાનિસ્તાન પ્રત્યે કડક વલણ દાખવ્યું અને કહ્યું હતું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ અફઘાન નાગરિકોએ 1 નવેમ્બર સુધીમાં પાકિસ્તાન છોડી દેવું જોઈએ નહીં તો તેમને બળજબરીથી દેશની બહાર ફેંકી દેવામાં આવશે. બુગતીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં અફઘાન મૂળના લગભગ 17 લાખ લોકો છે જેઓ અલગ-અલગ શહેરોમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયા છે.

પાકિસ્તાન સરકારના ગૃહમંત્રીનું નિવેદન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી સરફરાઝ બુગતીનું આ નિવેદન પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હાલમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટ બાદ સામે આવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લગભગ 44 લાખ અફઘાન શરણાર્થીઓ રહે છે જેમાંથી લગભગ 17 લાખ અફઘાન લોકો ગેરકાયદેસર રીતે રહે છે.

અફઘાનિસ્તાન પર નિશાન સાધતા સરફરાઝ બુગતીએ વધુમાં કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે જે હુમલા થયા છે તેમાં અફઘાન નાગરિકો સામેલ છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે હવે અમારી પાસે આના પુરાવા પણ છે.

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓ થયા

પાકિસ્તાનમાં હાલના ભૂતકાળમાં અનેક આત્મઘાતી હુમલાઓ કરવામાં આવ્યા છે. ગયા શુક્રવારે પણ બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં એક મસ્જિદ પાસે બે આત્મઘાતી હુમલા થયા હતા જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની આશંકા અફઘાનિસ્તાનના તાલિબાન સાથે જોડાયેલા આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પર લગાવવામાં આવી રહી છે.

હકીકતમાં ગયા વર્ષે જ TTP જૂથ અને પાકિસ્તાન સરકાર વચ્ચે યુદ્ધવિરામનો કરાર તૂટી ગયો હતો ત્યારબાદ દેશમાં આત્મઘાતી હુમલાઓએ જોર પકડ્યું છે. જોકે, TTP હંમેશા ઇનકાર કરતું આવ્યું છે. TTP એ પણ શુક્રવારના આત્મઘાતી હુમલાથી પોતાને દૂર રાખીને કહ્યું હતું કે તેઓ મસ્જિદો અને ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવતા નથી.

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓ ઝડપથી વધ્યા

પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (PICSS) દ્વારા જારી કરાયેલા હાલનાં આંકડા અનુસાર, છેલ્લા 7 મહિનામાં પાકિસ્તાનના વિવિધ ભાગોમાં 18 આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા છે. આ આત્મઘાતી હુમલાઓમાં જ પાકિસ્તાનમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં નેવુંના દાયકાથી આત્મઘાતી હુમલાઓ થઈ રહ્યા છે. વર્ષ 1995માં એક આતંકવાદી જૂથે ઈસ્લામાબાદમાં ઈજિપ્તની દૂતાવાસ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાના મામલા સતત વધી રહ્યા હતા. પરંતુ ખાસ કરીને 2007 પછી પાકિસ્તાનમાં આત્મઘાતી આતંકવાદના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો.

અફઘાનિસ્તાન તરફથી કોઈ જવાબ નથી

સમાચાર લખાય છે ત્યાં સુધી પાકિસ્તાની મંત્રીના નિવેદન પર અફઘાન સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. અફઘાન તાલિબાને કહ્યું છે કે પાકિસ્તાનની સુરક્ષા તેમનો (પાકિસ્તાનનો) આંતરિક મામલો છે.


  • Follow us on: