દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુને બાંગ્લાદેશની કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.કોર્ટે ચિન્મય દાસને 10 દિવસ જેલમાં મોકલ્યા..
ચિન્મયદાસે કરી આ અપીલ
મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ તેમના આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.
રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ
બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન હિંદુઓ વિરુદ્ધ હિંસા દરમિયાન ચિન્મય પ્રભુ સતત આ મુદ્દો ઉઠાવતા હતા. આ દરમિયાન 25 ઓક્ટોબરે, હિંદુ જૂથ 'સનાતન જાગરણ મંચ' દ્વારા રાજધાની ઢાકાના ન્યૂ માર્કેટમાં ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક યુવાનોએ બાંગ્લાદેશી ધ્વજ ઉપર ભગવો ઝંડો લગાવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે રેલીમાં આ ઘટનાને ચિન્મય પ્રભુની ધરપકડનું કારણ બનાવ્યુ છે.. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે આ રીતે દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.
કોણ છે ચિન્મય પ્રભુ ?
ઉલ્લેખનીય છે કે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના અગ્રણી નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરિક ધામના પ્રમુખ છે. લોકો તેમને ચિન્મય પ્રભુના નામથી પણ ઓળખે છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થતા અત્યાચારો સામે મજબૂત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77 થી વધુ મંદિરો છે અને 50 હજારથી વધુ લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ બાંગ્લાદેશના સનાતન જાગરણ ગ્રુપના સભ્ય પણ છે. તેઓ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) સાથે પણ સંકળાયેલા છે અને ઈસ્કોનના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.