- હવે ભારતીયોએ મલેશિયા જવુ રહેશે સરળ
- મલેશિયાના પ્રધાનમંત્રીએ કરી મહત્વની જાહેરાત
- 1લી ડિસેમ્બરથી નાગરિકોને મળશે સુવિધા
ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે આપી હતી. ચીની અને ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા મુક્ત રહી શકે છે.
1 ડિસેમ્બરથી થશે નાબૂદ
મલેશિયામાં આવતા ભારતીય નાગરિકો માટે વિઝાની આવશ્યકતા આ વર્ષે 1 ડિસેમ્બરથી નાબૂદ કરવામાં આવશે. હવે ભારતીય નાગરિકો 30 દિવસ સુધી વિઝા વિના મલેશિયામાં રહી શકશે. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે ગઈ કાલે પુત્રજયમાં પીપલ્સ જસ્ટિસ પાર્ટીની વાર્ષિક બેઠકમાં આ જાહેરાત કરી હતી. ભારતની સાથે ચીનના નાગરિકોને પણ 1લી ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. મલેશિયાએ આર્થિક વૃદ્ધિને વધારવા માટે વધારાના પ્રવાસીઓના આગમનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. પીએમ અનવરે ગયા મહિને પ્રવાસીઓ અને રોકાણકારોને મલેશિયાની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા વિઝા સુવિધાઓમાં સુધારાની જાહેરાત કરી હતી.
વિયેતનામ પણ કરી શકે છે વિઝા ફ્રીએન્ટ્રી
છ દિવસ પહેલા માહિતી મળી હતી કે વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે. હાલમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોના નાગરિકો વિઝા વિના વિયેતનામમાં પ્રવેશ કરી શકે છે. સમાચાર એજન્સીઓના જણાવ્યાનુસાર વિયેતનામના સંસ્કૃતિ, રમતગમત અને પર્યટન મંત્રી ગુયેન વાન હંગે પર્યટનને સુધારવા માટે ચીન અને ભારત જેવા મોટા બજારો માટે ટૂંકા ગાળાના વિઝા માફી માટે કહ્યું છે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.