ટેરિફને લઈને અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન સામે આવ્યુ છે. નેતન્યાહૂએ કહ્યું કે તેઓ પીએમ મોદીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે કેટલીક સલાહ આપશે. પીએમ મોદી અને ટ્રમ્પ બંને તેમના નજીકના મિત્રો છે. તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે.


ઇઝરાયલની શું છે સલાહ ?

પીએમ નેતન્યાહૂએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો પાયો ખૂબ જ મજબૂત ગણાવ્યો છે અને બંને દેશોને ટેરિફ પર ચાલી રહેલા વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોનો પાયો ખૂબ જ મજબૂત છે. ભારત અને અમેરિકાએ એક સામાન્ય ઉકેલ શોધવો જોઈએ અને આ ટેરિફ વિવાદનો જલ્દી ઉકેલ લાવવો તેમના હિતમાં રહેશે અને આવો ઉકેલ ઇઝરાયલ માટે પણ સારો રહેશે, કારણ કે આ બંને દેશો આપણા મિત્રો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જે તેમણે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા બદલ સજા તરીકે લાદ્યો હતો. જોકે, રશિયાથી આયાત ચાલુ રાખ્યા પછી, ટ્રમ્પે 25 ટકા ટેરિફ બમણું કરી દીધું છે અને ભારત પર 50 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીનો સંદેશ

ભારતે અમેરિકા અને ટ્રમ્પના આ પગલાની નિંદા કરી છે. તેને ખોટું, અન્યાયી અને અવ્યવહારુ ગણાવ્યું છે. અમેરિકાના આ પગલાથી કાપડ અને દરિયાઈ નિકાસ જેવા ભારતના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે. પીએમ મોદીએ પણ આ અંગે કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે, ભારત તેના ખેડૂતો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. અમે જાણીએ છીએ કે અમારે આની કિંમત ચૂકવવી પડશે, પરંતુ અમે દેશના ખેડૂતો માટે આ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.

  • Follow us on: